બનાસકાંઠા: ઉણ ગામે બે સમાજ આમને-સામને, ગાડીઓમાં તોડફોડ, પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ છોડ્યા | Banaskantha News Group clash Un village chaudhary community protest Rabari community

![]()
Banaskantha News: બનાસકાંઠાના ઉણ ગામે આજે જાણે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે! રુણી ગામે ચૌધરી સમાજની બેઠક પૂરી થતા જ ઉણ ગામમાં હિંસક અથડામણ ફાટી નીકળી હતી. કિંજલ રબારીના કેસ બાદ એક વર્ષ જૂના પ્રેમ લગ્નના વિવાદે આજે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ચૌધરી અને રબારી સમાજના લોકો લાકડીઓ અને હથિયારો સાથે સામસામે આવી ગયા છે, જેમાં 20થી 25 જેટલી કારના કાચ તોડી નાખવામાં આવ્યા છે!
ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ઘટનાની ગંભીરતા જોતા વાવ, થરાદ અને બનાસકાંઠા પોલીસનો મોટો કાફલો ઉણ ગામે દોડી ગયો છે. દીકરીને પરત લાવવાની માંગ સાથે આજે ચૌધરી સમાજે રુણીમાં જે આક્રોશ વ્યક્ત કરાયો હતો, તેની સીધી અસર આજે ઉણ ગામમાં જોવા મળી છે. હાલમાં સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને પોલીસ છાવણીમાં ફેરવાયેલું ઉણ ગામ અત્યારે અંજપાભરી શાંતિ છે.
પોલીસનું શું કહેવું છે?
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું છે કે ‘પ્રેમ લગ્ન મુદ્દે ભાભરમાં બેઠક યોજાઇ હતી, જે પછી 60 થી 70 ટકા લોકો ત્યાંથી જતાં રહ્યા હતા પરંતુ 30 ટકા લોકો જેઓ આગેવાન નથી તેઓ સીધા ગાડીઓ લઈને ઊણ ગામ પહોંચી ગયા હતા. ત્યાં કોઈ છોકરી કે છોકરો રહેતું નથી, કોઈ વાલી વારસ રહેતા નથી. માત્ર તેની અંપગ માતા રહે છે, ત્યાં જઈને કહ્યું હતું કે છોકરી પરત આપો’,
લાઠીચાર્જ બાદ પોલીસે ટીયર ગેસ છોડ્યા
મહત્વનું છે કે આ ઘટના બાદ સ્થિતિ વણસી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો હાથમાં લાકડીઓને લઈને ભેગા થયા છે અમુક દ્રશ્યોમાં કારમાં તોડફોડ પણ દેખાઈ રહી છે. જે બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, સ્થિતિને કાબૂમાં લેવા માટે ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસ પણ છોડ્યા હતા. બીજી તરફ મામલો શાંત પાડવા પહોંચેલી પોલીસ પર પથ્થરમારો થતાં પોલીસે લાઠીચાર્જનો સહારો પણ લીધો હતો. જે બાદ લોકોએ થરા-ભાભર હાઇવે બ્લોક કર્યો હતો જેથી લાંબો ટ્રાફિક જામ થતાં પોલીસે ત્યાં પણ મામલો થાળે પાડવા આગેવાનો સાથે ચર્ચાઓ શરૂ કરી હતી.
આજે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું હતું
મહત્વનું છે કે રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદ બાદ હવે ભાભરના રુણી ગામમાં ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા અંગે આજે (18 માર્ચ) એક મહા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી આંજણા ચૌધરી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા હતા. 64 ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રજનેશ ચૌધરીએ આ તકે જાહેરાત કરી હતી કે, આગામી એક અઠવાડિયામાં દીકરીને પરત લાવવાની જવાબદારી લેવામાં આવી છે. જો નિર્ધારિત સમયમાં દીકરી પરત નહીં આવે, તો સમાજ દ્વારા આગળની આક્રમક વ્યૂહનીતિ નક્કી કરવામાં આવશે.
કિંજલ રબારીના લગ્ન બાદ શરૂ થયો છે વિવાદ
આ સમગ્ર વિવાદ પાછળની ઘટના જોઈએ તો, અગાઉ રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. તે સમયે રબારી અને ચૌધરી બંને સમાજના આગેવાનોએ પરસ્પર સહમતિ સાધીને રબારી સમાજની દીકરીને પરત સોંપી દીધી હતી.
અમારી દીકરી પરત આપો: ચૌધરી સમાજ
જો કે, આ ઘટના બાદ ભાભરના રુણી ગામની વિધાતા (નામ બદલ્યું છે) ચૌધરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિધાતા (નામ બદલ્યું છે) ચૌધરીએ આશરે દોઢ-બે વર્ષ પહેલાં ઉણ ગામના મહાદેવ રબારી સાથે લગ્ન કર્યા હતા અને તેમને સંતાનમાં એક બાળક પણ છે. હવે ચૌધરી સમાજ આ દીકરીને પરત લાવવાની માંગ સાથે એકજૂટ થયો છે. ચૌધરી સમાજ રબારી સમાજ પાસે અપેક્ષા રાખે છે કે અમારી દીકરી પરત આપો.
સમાજના સન્માન અને સ્મિતાનો વિષય
સમાજના આગેવાનોનું કહેવું છે કે આ મામલો સમાજના સન્માન અને અસ્મિતા સાથે સંકળાયેલો છે, તેથી સર્વસંમતિથી દીકરીને પરત લાવવાનો નિર્ણય લેવો અનિવાર્ય છે. બીજી તરફ, વિધાતા ((નામ બદલ્યું છે)) ચૌધરીએ ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેણે પોતાના પરિવારમાં કોઈ વિખવાદ ન સર્જાય તેવી ભાવુક અપીલ કરી હતી. હાલમાં આ મામલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે અને આગામી એક સપ્તાહ સમાજની વ્યૂહનીતિ માટે અત્યંત મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.


