સુરત પાલિકાની બેદરકારીથી તક્ષશિલા જેવી દુર્ઘટનાનો ભય : રાંદેર ઝોનમાં રહેણાંક સોસાયટી આસપાસ કોમર્શિયલ-ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to commercial industrial activities around societies in Rander

![]()
Surat : સુરત પાલિકાના વરાછા ઝોનમાં સણીયા હેમાદ સહિત અનેક રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ અને ઈન્ડસ્ટીયલ એકટીવીટીના કારણે સમસ્યા વકરી રહી છે. તેનું નિવારણ થાય તે પહેલાં પાલિકાની ગંભીર બેદરકારીને કારણે હવે આ પ્રકારનું ન્યુસન્સ રાંદેર ઝોન વિસ્તારમાં પણ શરૂ થયું હોવાની ફરિયાદ બહાર આવી છે. જો પાલિકા તંત્ર આ ન્યુસન્સ સામે પગલાં નહીં ભરે તો અનેક રહેણાક સોસાયટીના લોકોને ઘરમાં રહેવું ભારે પડી શકે છે. જો પાલિકા તંત્ર સમયસર પગલાં નહીં ભરવામાં આવે તો તક્ષશિલા જેવી દુર્ઘટના થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
સુરત પાલિકાના વરાછા ઝોન જેવી બેદકારી હવે રાંદેર ઝોન દ્વારા દાખવવામાં આવી રહી હોવાથી રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ-ઈન્ડસ્ટ્રીયલ એક્ટીવીટી દિવસેને દિવસે વધી રહી છે. આવી જ એક ફરિયાદ રાંદેર ઝોનના ઉગત વિસ્તારમાંથી બહાર આવી છે. પંચવટી સોસાયટી અને વારીગૃહ પાછળના વિસ્તારમાં, ઉગટ-જહાંગીરાબાદ વિસ્તારમાં પાલિકાની બેદરકારીના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. સ્થાનિકો આક્રોશ પૂર્ણ રીતે કહે છે, રહેણાંક સોસાયટીની વચ્ચે જ ફેક્ટરીઓ તથા મંડપના મોટા ગોડાઉનો ઉભા થઈ ગયા છે, જેના કારણે આસપાસ રહેતા પરિવારોમાં સતત ભયનો માહોલ છે.
પંચવટી સોસાયટીની પાછળ આવેલી ચક્રધર સોસાયટીમાં કબજા રસીદવાળી જમીન પર આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પુરજોશમાં ચાલી રહી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ જ વિસ્તારની બાજુમાં માધવ સરસ્વતી સ્કૂલ આવેલી છે. જો શોર્ટ સર્કિટ અથવા અન્ય કારણોસર આગ જેવી ઘટના બને તો બાળકો સહિત અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. અને સરથાણા તક્ષશિલા જેવી દુર્ઘટના બને તેવી ભીતિ છે.
સોસાયટીના લોકો આક્રોશ પૂર્ણ રીતે કહે છે, બે સોસાયટીની વચ્ચે આવેલી કમ્પાઉન્ડ વોલ આશરે 25 ફૂટ ઊંચી બાંધવામાં આવી છે, જ્યારે પાલિકાના વારીગૃહની સામેની દિવાલ માત્ર 7 ફૂટ જેટલી છે. આ અસમાનતા પણ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. પાલિકા તંત્ર આ ફરિયાદ બાદ પણ જાગે નહીં તો મોટી દુર્ઘટના થાય અને લોકો વચ્ચે ઘર્ષણ થાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.



