બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં પાંચેય દોષિતોને 5 વર્ષ કેદની સજા, વેરાવળ કોર્ટનો ચુકાદો | Una Case Verdict: 5 Convicted Sentenced to 5 Years by Veraval Court

![]()
Una Dalit Flogging Case: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ઉના દલિત અત્યાચાર કાંડમાં વેરાવળ સેશન્સ કોર્ટે આજે (17મી માર્ચે) ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં કુલ 42 આરોપીઓ પૈકી 5 ને દોષિત ઠેરવવામાં આવ્યા છે, જ્યારે 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, લાંબી કાયદાકીય પ્રક્રિયા દરમિયાન 2 આરોપીઓના મોત નીપજ્યા હતા.
એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષની સજા
વેરાવળ સેશન્સ કોર્ટના જજ પંડ્યાએ આજે (17મી માર્ચ) પાંચેય દોષિતોને સજા સંભળાવી હતી. જેમાં પાંચેય દોષિતને સજા ફટકારવામાં આવી છે, જેમાં એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષ તથા IPCની વિવિધ કલમો હેઠળ 2થી 3 વર્ષની સજા અને 5,000 રૂપયાના દંડનો આદેશ કરાયો છે.
મુખ્ય 5 આરોપીઓને દોષિત
-રમેશ જાદવ
-રાકેશ જોશી
-પ્રમોદ ગૌસ્વામી
-નાગજી ડાયા
-બળવંત ગૌસ્વામી
37 આરોપીઓને નિર્દોષ જાહેર કરી છુટકારો અપાયો છે જેમાં ચાર પોલીસકર્મીઓ પણ સામેલ છે.
4 પોલીસકર્મી નિર્દોષ
કંચન બહેન
તત્કાલીન PSI પાંડે
તત્કાલીન ઉના PSO કરશન ભાઈ
નિર્મલ ઝાલા (નિધન થઈ ચૂક્યું છે)
શું છે સમગ્ર મામલો?
11મી જુલાઈ, 2016ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામમાં દલિત સમાજના સાત સભ્યોને મરેલી ગાયનું ચામડુ કાપવાના પ્રકરણમાં ગાયોને કેમ કાપો છો તેમ કહી ગાડી સાથે બાંધી લાકડીઓ, પાઇપો સહિતના હથિયારો વડે માર મારી અત્યાચાર ગુજારવાના ચકચારભર્યા કેસમાં 4 પોલીસ અધિકારી સહિત કુલ 42 આરોપીઓની ધરપકડ થઈ હતી. ઉનાકાંડ બાદ સમગ્ર દેશભરમાં દલિત સમાજમાં બહુ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને સ્ફોટક સ્થિતિ બની હતી. માત્ર ગુજરાતમાં જ હુલ્લડના 74 બનાવો બન્યા હતા, જેમાં એક પોલીસ કર્મીનું મોત નોંધાયું હતું, જયારે કરોડો રુપિયાની જાહેર મિલકતોને નુકસાન થયું હતું.



