ગાંધીનગર જિલ્લામાં સળંગ ત્રણ દિવસ આંગણવાડીના કર્મચારીઓ રજા રાખશે | Anganwadi workers in Gandhinagar district will be on leave for three consecutive days

![]()
હાઇકોર્ટના આદેશ છતાં વેતન વધારો નહીં આપવા સહિતના મુદ્દે
વય મર્યાદા વધારવી, વેકેશન અને બદલીનો લાભ આપવો, સ્માર્ટ ફોન આપવા સહિતના મુદ્દે સરકાર નિર્ણય લેતી નથી
ગાંધીનગર : સરકારી અન્યાય સામે લાંબા સમયથી રજુઆતો, દેખાવો બાદ કોઇ પરિણામ
નહીં મળતાં આગામી તારીખ ૧૮થી ૨૦મી સુધી રાજ્યભરની સાથે ગાંધીનગર જિલ્લામાં પણ આંગણવાડી
કર્મચારીઓ દ્વારા રજા રાખવા નિર્ણય લીધો છે. હાઇકોર્ટના આદેશ છતાં વેતન વધારો ન આપવો, વય મર્યાદા વધારવી, વેકેશન અને બદલીનો
લાભ આપવો, સ્માર્ટ ફોન
આપવા સહિત મુદ્દે સરકારે નિર્ણય ન લેતા આંદોલન છેડાયું છે.
આંગણવાડી બહેનો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ
અનેકવિધ પ્રશ્નોના ઉકેલની લાંબા સમયથી માંગ કરી રહી છે. તેમાં ગુજરાત હાઈકોર્ટના
ચુકાદા મુજબ અને લઘુતમ વેતન જેટલો પગાર વધારો કરવો, વર્ષ ૨૦૨૨માં આપેલા વચન મુજબ કામગીરી માટે સ્માર્ટ મોબાઈલ
આપવા, અન્ય
રાજ્યોની જેમ નિવૃત્તિ વયમર્યાદા ૬૦ વર્ષની કરવી, એવીટી અને એફઆરએસ જેવી એપ્લિકેશનો તાકીદે બંધ કરી કામનું ભારણ
ઘટાડવું, બદલીની
તક આપવી, ઉનાળુ
વેકેશનનો લાભ આપવો અને મકાન ભાડા સહિતના તમામ બાકી બિલોનું નિયમિત ચુકવણું કરવું.
સંગઠને પત્રમાં સ્પષ્ટતા કરી છે,
કે આ ત્રણ દિવસોએ નાસ્તો કે દૂધનો પુરવઠો બંધ રાખવો જેથી બગાડ ન થાય. સરકાર
ત્વરિત બેઠક યોજી પ્રશ્નો નહીં ઉકેલે તો આગામી દિવસોમાં આંદોલનને ઉગ્ર બનાવાશે.
સંગઠને તમામ પ્રોગ્રામ ઓફિસર અને સીડીપીઓને લેખિત જાણ કરી આ ત્રણ દિવસનો રજા
રિપોર્ટ ગણવા જાણ કરી છે.



