યુદ્ધની અસર : વડોદરામાં પાઇપલાઇનથી અપાતો ગેસ હવે માત્ર સવાર-સાંજ મળી 5 કલાક આપવા વિચારણા | Gas supplied through pipeline in Vadodara now available only for 5 hours consideration given

![]()
Vadodara Gas Crisis : વિશ્વના મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-અમેરિકા અને ઇઝરાઇલ યુદ્ધની અસર વડોદરા સહિત ભારતના વિવિધ રાજ્યોમાં થઈ છે. જેમાં ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત ઊભી થઈ છે ત્યારે હવે પાઇપલાઇનના અપાતા વડોદરા ગેસ લિમિટેડ અને ગુજરાત ગેસ દ્વારા પણ વધુ એક નિર્ણયથી ગૃહિણીઓમાં ફફડાટ ફેલાયો છે. જેમાં ગુજરાત ગેસની 50 ટકા કપાત કરાશે જ્યારે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા આપાતા ગેસમાં પણ હવે દિવસ દરમિયાન સવારે અને સાંજે માત્ર 3-2 કલાક જ ગેસ આપવાની કવાયત હાથ ધરાઇ છે.
ઉલ્લેખનીય છે કે ઈરાન-ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે છેલ્લા 16 દિવસથી ભીષણ યુધ્ધ ચાલી રહ્યું છે. જેની સીધી અસર વડોદરા સહિત દેશના વિવિધ રાજ્યોમાં પડતા ઘરેલુ અને કોમર્શિયલ ગેસની ભારે અછત સર્જાઇ છે. પરિણામે કાળા બજારિયાઓ ખૂબ સક્રિય થયા છે. વડોદરામાં પોલીસ તંત્ર અને પુરવઠા વિભાગએ ઠેક ઠેકાણે સઘન ચેકિંગ શરૂ પણ કરી દીધું છે. ગેસ સિલિન્ડર મેળવવા લોકો વહેલી સવારથી વિવિધ એજન્સીઓ ખાતે લાંબી લાઈન લગાવીને બળબળતા તાપમાં સતત ઊભા રહે છે. જ્યારે બીજી બાજુ હવે ઓનલાઇન ગેસ બુકિંગ પણ બંધ થઈ ગયું છે. જોકે કલેક્ટર કચેરી ખાતે તાત્કાલિક ધોરણે કંટ્રોલરૂમ ઊભો કરી દેવાયો છે. ત્યાં પણ માત્ર સિલિન્ડર અંગેની ફરિયાદો અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે.
હવે મધ્ય પૂર્વનું યુદ્ધ લંબાતા ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાઇપલાઇનથી સપ્લાય થતા ગેસમાં 50 ટકા સુધીના કાપનો પણ આજથી નિર્ણય લેવાયો છે.
પરિણામે મોરબી સિરામિક ઉદ્યોગ બંધ થવાના આરે છે. પ્રીપેન 35 ટકા ઉદ્યોગો પીએનજી ગેસ પર નિર્ભર છે. જેથી ગુજરાત ગેસ કંપનીએ કરાર મુજબ ફોર્સ મેજર જાહેર કરી આગામી 31 માર્ચ સુધી સપ્લાય મર્યાદિત રાખવા નિર્ણય કરાયો છે. જ્યારે બીજી બાજુ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા વડોદરામાં સવારે ત્રણ કલાક અને સાંજે સાંજે માત્ર બે કલાક ગેસ આપવાના નિર્ણય અંગે પણ સઘન ચર્ચા વિચારણા શરૂ થતા ગૃહિણીઓમાં ગભરાટ ફેલાયો છે. આ ઉપરાંત જેમને ત્યાં ગેસ લાઇન હોય અને તેમની પાસે ગેસ સિલિન્ડર હોય તો તેમણે સિલિન્ડર તાત્કાલિક ધોરણે જમા કરાવી દેવા જણાવ્યું છે અન્યથા કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. સાથોસાથ બે સિલિન્ડરથી વધુ સિલિન્ડર ધરાવનાર સામે પણ કાનૂની કાર્યવાહીની આપવામાં આવી છે.



