गुजरात

પેટલી શાળામાં આચાર્ય અને શિક્ષકો આમને-સામને, આચાર્ય દ્વારા નાણાંકીય ભ્રષ્ટાચાર કરાયાનો આરોપ | Principal and teachers face to face at Petli School Principal alleges financial corruption



– આચાર્ય દ્વારા સફાઈ ગ્રાન્ટ અને સ્ટેશનરીના નામે ઉચાપત કરાતી હોવાનો દાવો

– બાલ્યાર્પણ’ કાર્યક્રમની પૂર્વતૈયારીના નામે મહિલા શિક્ષિકાઓને રાત્રિના ૧ વાગ્યા સુધી રોકી રાખી અભદ્ર ભાષાનો ઉપયોગ કરાતો હોવાના આક્ષેપો સાથે શિક્ષકોએ લડત ઉગામી : આ મામલે તપાસની માંગ કરાઈ

નડિયાદ :વસો તાલુકાની પેટલી પ્રાથમિક શાળાના આચાર્ય સામે શિક્ષકોએ કાર્યપદ્ધતિ અને આર્થિક ગેરરીતિઓના આક્ષેપો સાથે બ્યૂગલ ફૂંક્યું છે. તો બીજીતરફ આચાર્ય દ્વારા શિક્ષકો મોબાઈલ વાપરતા હોવા મામલે ઠપકો આપતા માથાકૂટ શરૂ થયાનો દાવો કરાયો હતો. આ વચ્ચે ફરી શિક્ષકોએ ગંભીર આક્ષેપ આચાર્ય સામે કર્યા છે. જેમાં આચાર્ય દ્વારા સરકારની વિવિધ ગ્રાન્ટોેમાં ઘાલમેલ કરી નાણાંકીય ભ્રષ્ટાચાર કર્યોે હોવાનો આક્ષેપ કરતા ગામમાં સનસનાટી મચી ગઈ છે. તેમજ આ મામલે યોગ્ય તપાસની માંગણી કરાઈ છે.

શાળાના શિક્ષકોએ કરેલા આક્ષેપો મુજબ, આચાર્ય દ્વારા શાળાની ગ્રાન્ટના નાણાંમાં મોટાપાયે ગોલમાલ કરવામાં આવે છે. સફાઈ કામગીરી માટે સરકાર તરફથી મળતી માસિક ૪૦૦૦ની ગ્રાન્ટના નાણાં સફાઈ કામદારને આપવાને બદલે આચાર્ય પોતે જ હડપ કરી જતા હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત શાળામાં શૈક્ષણિક સાધનો અને સ્ટેશનરીની ખરીદીમાં પણ વાસ્તવિક ખર્ચ કરતા વધુ રકમના ખોટા બિલો બનાવી આથક ઉચાપત કરવામાં આવતી હોવાની વિગતો રજૂ કરવામાં આવી છે. શિક્ષકોએ આક્ષેપ કર્યો છે કે, આચાર્યનો ભૂતકાળ પણ વિવાદીત રહ્યો છે અને તેઓ અગાઉ જોરાપુરા અને સોડપુર ખાતે ફરજ દરમિયાન પણ વિવાદોમાં રહ્યા હતા. ત્યાં તેમના વિરુદ્ધ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરવા અને મારામારી કરવા જેવી ગંભીર ફરિયાદો ઉઠી હતી, જેના કારણે તેમની બદલી કરવામાં આવી હતી. હાલમાં પણ તેઓ પોતાની રાજકીય વગનો ઉપયોગ કરી શિક્ષકોને નોકરીમાંથી કઢાવી મૂકવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજારે છે, તેવા પણ આક્ષેપો કરાયા છે. ‘બાલ્યાર્પણ’ કાર્યક્રમની પૂર્વતૈયારીના નામે મહિલા શિક્ષિકાઓને રાત્રિના ૧ વાગ્યા સુધી રોકી રાખી તેમની સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવતા શિક્ષકોએ લડત ઉગામી હોવાનું આક્ષેપોમાં જણાવાયું છે.

પ્રવાસ માટે સરકારે ગ્રાન્ટ આપી છતાં વિદ્યાર્થી દીઠ પૈસા ઉઘરાવ્યા

શિક્ષકોએ આક્ષેપ કર્યો છે કે, વિદ્યાર્થીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે લઈ જવા માટે સરકાર દ્વારા ૮૫ હજાર જેટલી રકમ આપવામાં આવી હતી. આમ છતાં આચાર્યએ ૮૬ બાળકો પાસેથી ૯૦૦ રૂપિયા લેખે પૈસા ઉઘરાવ્યા હતા. તેમજ મળતીયાઓના બિલો રજૂ કરી અને સરકારી સહાય પેટે આવેલા પૈસા ચાઉં કરી નાખ્યા હોવાનો આરોપ મુક્યો છે.

‘નરેન્દ્ર ઓન ફાયર’ જેવી વાતો કરી ધાક જમાવવાનો પ્રયાસ

મહિલા શિક્ષિકાઓની સલામતી સામે પણ સવાલો ઉભા રહી રહ્યાં છે. આક્ષેપો મુજબ, મીટિંગ દરમિયાન રૂમના બારી-બારણાં બંધ કરી દેવા અને શિક્ષકોના મોબાઈલ ફોન જપ્ત કરી લેવા જેવી પ્રવૃત્તિઓથી આચાર્ય ‘નરેન્દ્ર ઓન ફાયર’ જેવી વાતો કરી ધાક જમાવવાનો પ્રયાસ કરે છે. નાનાં બાળકો ધરાવતી મહિલા શિક્ષિકાઓને મોડી રાત સુધી શાળામાં ગોંધી રાખી માનસિક ત્રાસ આપવો તે આચાર્યનો નિત્યક્રમ બની ગયો હોવાનું શિક્ષકોએ જણાવ્યું છે.

સરપંચને બોલાવી શાળા ચાલુ કરાવ્યાનો શિક્ષકોનો દાવો

એકતરફ આચાર્ય દ્વારા દાવો કરાયો છે કે, શિક્ષકોએ વિદ્યાર્થીઓને શાળામાં આવવા દીધા નહોતા. જ્યારે શિક્ષકોએ દાવો કર્યો છે કે, શાળા બંધ કરાઈ જ નથી પણ આચાર્યની સામે સલામતીનું જોખમ લાગતા શિક્ષકોએ સમયસર શાળાએ પહોંચી ગામના સરપંચ અને વાલીઓને બોલાવ્યા બાદ વિદ્યાર્થીઓને વર્ગમાં લઈ જઈ અભ્યાસ શરૂ કરાવ્યો હતો.



Source link

Related Articles

Back to top button