गुजरात

અમદાવાદ: ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ | LPG Shortage Forces Closure of Popular Swaminarayan Bhojanalay in Ahmedabad



LPG Cylinder Shortage Crisis: અમદાવાદના મણિનગર વિસ્તારમાં હજારો શ્રદ્ધાળુઓ, વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર પાસેનું ‘શ્રી સ્વામિનારાયણ ભોજનાલય’ આજે (13મી માર્ચ)થી ટેમ્પરરી ધોરણે બંધ કરવામાં આવ્યું છે. ગેસ સિલિન્ડરના સપ્લાયમાં સર્જાયેલી મોટી અછતને કારણે સંચાલકોએ આ કપરો નિર્ણય લેવો પડ્યો છે, જેને પગલે રોજિંદા જમવા આવતા સેંકડો લોકોમાં દોડધામ મચી ગઈ છે.

કોમર્શિયલ ગેસની ભારે અછત જવાબદાર

મણિનગર ગાદી સેવા સંસ્થાન દ્વારા કોન્ટ્રાક્ટ પર સંચાલિત આ ભોજનાલયના સંચાલક રાજસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ‘છેલ્લા 5-6 દિવસથી ગેસની ભારે શોર્ટેજ જોવા મળી રહી છે. અમે કોમર્શિયલ બાટલા માટે ઓર્ડર આપીએ છીએ છતાં સપ્લાય મળી રહ્યો નથી. આ સ્થિતિમાં ભોજનાલય ચલાવવું અશક્ય હોવાથી અમે 1-2 દિવસ માટે ટેમ્પરરી કામગીરી સ્થગિત કરી છે. જેવું સપ્લાય સામાન્ય થશે કે તરત જ સેવા ફરી શરૂ કરાશે.’

આ પણ વાંચો: સરકારી ચોપડે લોકો સ્વસ્થ! અમદાવાદમાં બે વર્ષમાં પાણીજન્ય રોગના માત્ર 194 કેસ નોંધાયા

આ ભોજનાલયમાં દરરોજ 400થી 500 જેટલા લોકો જમવા માટે આવે છે, જેમાં બહારથી આવીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, માર્કેટના શ્રમિકો અને પીજીમાં રહેતા નોકરિયાત વર્ગનો સમાવેશ થાય છે. કિફાયતી દરે મળતું શુદ્ધ ભોજન બંધ થતા આ વર્ગ પર આર્થિક બોજ પણ વધશે. હાલમાં સંચાલકો દ્વારા ભોજનાલયની બહાર નોટિસ બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે.

અહીં જમવા આવેલા હેમાંદ્રીએ જણાવ્યું કે, ‘અમે અહીં ભોજનાલયમાં જમવા આવ્યા હતા, ત્યારે ખબર પડી કે આજે આ બંધ છે. અમે અહીં નિયમિત જમવા આવતા હોઈએ છીએ, તેથી આ બંધ હોવાને કારણે અમને ઘણી મુશ્કેલી પડી રહી છે. અમે વિદ્યાર્થી છીએ અને હોસ્ટેલમાં રહીએ છીએ. અહીં બહુ જ સારું જમવાનું મળે છે, પણ હવે આ બંધ હોવાથી અમારે જમવા માટે બીજી કોઈ જગ્યાએ જવું પડશે. મારે હજુ અહીં 15 દિવસ જ રહેવાનું છે, એટલે જેટલા દિવસ બાકી છે એટલા દિવસ માટે અમારે જમવાની બીજી કોઈ જગ્યાએ વ્યવસ્થા કરવી પડશે. અમે આમ પણ દિવસમાં એક જ વાર જમતા હોઈએ છીએ એટલે એક રીતે તો આખો દિવસ ઉપવાસ જેવું જ હોય છે, પણ હવે અમારે બીજી કોઈ જગ્યાએ જ જમવું પડશે.’



Source link

Related Articles

Back to top button