સરકારી ચોપડે લોકો સ્વસ્થ! અમદાવાદમાં બે વર્ષમાં પાણીજન્ય રોગના માત્ર 194 કેસ નોંધાયા | ahmedabad district waterborne diseases underreported government data discrepancy

Ahmedabad News : આખું વર્ષ સરકારી દવાખાના ભલે દર્દીઓથી ઉભરાતા હોય પણ અમદાવાદ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં પાણીજન્ય રોગચાળાના માત્ર 194 કેસ જ સરકારી ચોપડે નોંધાયા છે. ચોમાસામાં દાણીલીમડા, બાપુનગર જેવા એકાદ વિસ્તારમાં પણ જો અધિકારીઓ અને પદાધિકારીઓ રાઉન્ડ પર નીકળે તો તેમને જિલ્લામાં ફેલાયેલા રોગચાળાની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવશે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ આંકડા લોકોને ઊઠાં ભણાવવા સમાન છે.
અમદાવાદની બિહામણી દશા
ચોમાસામાં કોઈ એક વિસ્તારમાં પણ સત્તાધીશો રાઉન્ડ પર નીકળે તો વાસ્તવિક સ્થિતિની ખબર પડે તેમ છે. અમદાવાદમાં હવે માત્ર ચોમાસામાં જ નહીં, પરંતુ બારેમાસ લોકો કોલેરા, કમળો, ટાઈફોઈડ વગેરે પાણીજન્ય તેમજ ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનો ભોગ બની રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, અમદાવાદ શહેર જ નહીં, પણ બાવળા, દસક્રોઈ, દેત્રોજ, ધોલેરા, ધંધુકા, ધોળકા, માંડલ, સાણંદ, વિરમગામ સહિત આખા જિલ્લામાં વર્ષ 2024-25માં કોલેરા, કમળો, ટાઈફોઈડના 101, જ્યારે વર્ષ 2025-26 માં 93 સહિત બે વર્ષમાં કુલ માત્ર 194 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં 127 કેસ તો ફક્ત ટાઈફોઈડના છે. તેમજ આવી બીમારીઓથી એક પણ દર્દીનું મૃત્યુ ન થયું હોવાનું જણાવાયું છે.
નાના દવાખાનામાં કેટલા કેસ નોંધાયા હશે
એક દિવસમાં કોઈ એક નાના દવાખાનામાં પણ આનાથી વધારે કેસ નોંધાતા હશે! ખુદ અમદાવાદ મ્યુનિ. દ્વારા પ્રદૂષિત પાણી અને તેને લગતા રોગચાળા માટે અમદાવાદના 26 વિસ્તારને હોટસ્પોટ ગણાવ્યા હતા. ત્યારે જાણકાર તબીબો પણ આરોગ્ય વિભાગના આ આંકડા પર વિશ્વાસ કરી શકે તેમ નથી. તેમના મતે આવા કેસની સંખ્યા હજારોમાં હોઈ શકે છે.




