પાણી પુરી ખાધા પછી મહિલાની તબિયત બગડતા મોત | Woman’s health deteriorates after eating pani puri

![]()
વડોદરા,પાણીપુરી ખાધાના અડધો કલાક પછી ૩૮ વર્ષની મહિલાની અચાનક તબિયત બગડતા સારવાર દરમિયાન મોત થતા વારસિયા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,વારસિયા અર્થ આઇકોન – ૨ ની સામે વલ્લભ ઓર્ચિડમાં રહેતા માન્યબેન કૈલાસભાઇ ધમનાની ( ઉં.વ .૩૮) ઘરકામ કરે છે. તેમના પતિની સોમા તળાવ પાસે અનાજ કરિયાણાની દુકાન છે. ગઇકાલે રાત્રે તેઓ પુત્ર સાથે પાણી પુરી ખાવા ગયા હતા. પાણી પુરી ખાઇને તેઓ પરત ઘરે આવ્યા હતા. માતાને ઘરે ઉતારીને પુત્ર બહાર ગયો હતો. અડધો કલાક પછી પુત્ર ઘરે પરત આવ્યો ત્યારે માતાની તબિયત બગડી હતી. તેઓને પેટમાં દુખાવા સાથે ઉલટી તથા ચક્કર આવતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન સવારે તેઓનું મોત થયું હતું. પોલીસનું કહેવું છે કે, મહિલાએ ક્યાં પાણી પુરીખાધી તે હજી તપાસ કરી નથી. તેમના પુત્રે પણ પાણી પુરી ખાધી હતી. તે એકદમ સ્વસ્થ છે. મહિલાએ અગાઉ પથરીનું ઓપરેશન કરાવ્યું હતું. તેમજ ખેંચની પણ બીમારી હતી.પરંતુ, તેના કારણે આવું થાય તેવું શક્ય નથી. મૃતદેહને પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. ડોક્ટરે એફ.એસ.એલ.માં નમૂના મોકલી આપ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા પછી મોતનું સાચું કારણ જાણી શકાશે.



