ગેસ સિલિન્ડરની અછત, વડોદરામાં પણ ત્રણેક દિવસમાં રેસ્ટોરન્ટો બંધ થવા માંડશે | restaurants in vadodara may close due to scarcity of gas cylinder

![]()
વડોદરાઃ મધ્ય પૂર્વમાં ઈરાન સામે ઈઝરાયેલ અને અમેરિકાએ શરુ કરેલા યુધ્ધની ગરમી હવે ભારતને પણ દઝાડી રહી છે.યુધ્ધના કારણે રાંધણ ગેસના સપ્લાય પર અસર પડી છે.જેના પગલે કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કાપ મૂકવામાં આવી રહ્યો છે.જેના પગલે મોટા શહેરોમાં રેસ્ટોરન્ટો બંધ કરવાનો વારો આવી રહ્યો છે.
વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાની રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝ પણ ચિંતામાં છે.કારણકે કોમર્શિયલ ગેસ સિલિન્ડરોનો સપ્લાય બંધ થઈ રહ્યો છે.નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના વડોદરા ચેપ્ટરના પ્રમુખ નીતિન નાણાવટીનું કહેવું છે કે, વડોદરામાં નાની મોટી થઈને ૪૦૦૦ જેટલી રેસ્ટોરન્ટો, કાફે સહિતના નાના-મોટા ફૂડ આઉટલેટ છે.જેમાંથી ૭૦ ટકા ગેસ સિલિન્ડર પર જ આધારિત છે.આ પૈકીની કેટલીક રેસ્ટોરન્ટ સંચાલકોના મને ફોન આવી રહ્યા છે કે, કોમર્શિયલ ગેસ સિલિન્ડર આપવાનું બંધ કરી દેવાયું છે.મોટાભાગની રેસ્ટોરન્ટો પાસે ત્રણેક દિવસ ચાલે તેટલો જ ગેસ પુરવઠો છે.જો આ સમયગાળામાં સ્થિતિ સુધરે નહીં તો વડોદરામાં પણ રેસ્ટોરન્ટો, કાફે બંધ કરવાની નોબત આવશે.
તેમનું કહેવું છે કે, કોવિડના સમયગાળા દરમિયાન લોકડાઉનના કારણે જે સ્થિતિ સર્જાઈ હતી તેવી જ સ્થિતિ ગેસની અછતના કારણે સર્જાવાની આશંકા છે.



