સુરેન્દ્રનગરમાં મનપા સંચાલિત પુસ્તકાલય બંધ કરીને તોડી પાડવાની કામગીરીથી આક્રોશ | Outrage over closure and demolition of municipal library in Surendranagar

![]()
– સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી
– ઉમેદવારો અને લોકોના પુસ્તકાલય ખાતે ધરમધક્કા, વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગંણી, ફાયર સ્ટેશનમાં પુસ્તકાલય ખસેડાયું
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પુસ્તાલય. બંધ કરીને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરતા વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો ધક્કા ખાઇ રહ્યાં છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ટાવરચોક વિસ્તારમાં પુસ્તકાલય વર્ષોથી ચલાવવામાં આવતું હતું અને આ પુસ્તકાલયમાં રોજના ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને વાચક વર્ગો મુલાકાત લેતા હતા. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પુસ્તકાલયમાં વાંચન કરતા હતા.
પરંતુ મહાનગરપાલિકા દ્વારા ડેવલોપમેન્ટના નામે પુસ્તકાલય તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને વૈકલ્પિક જગ્યાની ફાળવણી ન કરવામાં આવતા હાલમાં પુસ્તકાલય બંધ કરવા જેવી નોબત સર્જાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી પુસ્તકાલયને તાળા જોઈ અને વિદ્યાર્થીઓ અને લાઇબ્રેરીમાં વાંચવા આવતા લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે જેને લઈને રોષ ફેલાયો છે.
પુસ્તકાલય કન્યા શાળામાં ખસેડવાની માંગ હતી પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ફાયર બ્રિગેડ સ્ટેશન ઉપર આવેલો એકમાત્ર નાનો હોલ આપી દેવામાં આવ્યો છે. જ્યાં પુસ્તકાલયમાં બેઠક વ્યવસ્થા અને સામાન અને પુસ્તકોની વ્યવસ્થા અને બેઠકની યોગ્ય વ્યવસ્થાનો અભાવે છે. મહાનગરપાલિકાની બેદરકારીના કારણે વાચકવર્ગ પણ હવે પરેશાન બની રહ્યો છે. ત્યારે તાત્કાલિક નિર્ણય કરી અને પુસ્તકાલય શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં વાંચન કરી શકે તે માટે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા મહાનગરપાલિકાના અધિકારીઓ સમક્ષ માંગણી મૂકવામાં આવી છે.


