વડોદરા: ખંડેરાવ માર્કેટમાં ધૂળ ઉડતા વેપારીઓ વચ્ચે છૂટા હાથની મારામારી | Vadodara: Scuffle Breaks Out Between Traders Over Flying Dust in Khanderao Market

![]()
વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટમાં પથારો લગાવવા માટે સફાઈ દરમિયાન ધૂળ ઉડતા વેપારીઓ વચ્ચે બોલાચાલી થઈ અને મામલો છૂટા હાથની મારામારી સુધી પહોંચ્યો હતો. ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ખંડેરાવ માર્કેટ ખાતે શાકભાજીનો પથારો લગાવતા અશોક પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સવારે અંદાજે 6:30 વાગ્યાના સમયે તેઓ પોતાના પથારાની આસપાસ સફાઈ કરી રહ્યા હતા ત્યારે ધૂળ ઉડી હતી. આ દરમિયાન નજીકમાં પથારો લગાવતા કૃણાલ પટેલ, ભુપેન્દ્ર પટેલ અને કરણ પટેલે કચરો કેમ ઉડાડે છે તે મુદ્દે ઝઘડો કર્યો હતો. ફરિયાદ મુજબ કૃણાલ પટેલે તેમના મોઢા પર મુક્કા મારતા ત્રણ દાંત તૂટી ગયા હતા, જ્યારે તેમના ભાઈ ચંદ્રકાંત પટેલને પણ ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ તથા ભુપેન્દ્ર પટેલની દીકરી સ્મૃતિએ ગાળો આપ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. સારવાર દરમિયાન અશોક પટેલના મોઢાના અંદરના ભાગે બે ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ સામા પક્ષે ખંડેરાવ માર્કેટ ખાતે શાકભાજીનું વેચાણ કરતા કૃણાલ પટેલે પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેની ફરિયાદ મુજબ સફાઈ દરમિયાન ધૂળ ન ઉડાડવા કહેતાં ચંદ્રકાંત પટેલ અને અશોક પટેલ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ચંદ્રકાંત, અશોક, વેદાંત અને અક્ષયએ મળીને તેમની સાથે ઝઘડો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. સારવાર દરમિયાન કૃણાલ પટેલના ડાબા હાથના કાંડા પર ફ્રેક્ચર થયાનું બહાર આવ્યું છે.
નવાપુરા પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે આઠ વ્યક્તિઓ સામે મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


