અમદાવાદમાં 422 હેરિટેજ વૃક્ષો મળ્યાં, 113 વર્ષની આંબલી, 91 વર્ષનું શમી! ગણતરી હજુ ચાલુ | Due to the long sightedness of the city dwellers

Ahmedabad Heritage Trees: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વૃક્ષારોપણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામા આવી રહયો છે. બીજી તરફ શહેરના વિવિધ વોર્ડમાં ચાલી રહેલી વૃક્ષ ગણતરી દરમિયાન 422 જેટલા હેરીટેજ વૃક્ષો મળી આવ્યા છે. એક સદી પહેલાના શહેરીજનોએ તેમની ભાવિ પેઢીઓની કેટલી હદે ચિંતા કરી હશે તેનો ખ્યાલ વિકટોરીયા ગાર્ડનમાં અડીખમ ઉભેલા 113 વર્ષ જુનુ ખાટી આંબલી તથા મીઠાખળી રોડ ઉપર 91 વર્ષના શમીના વૃક્ષની હયાતી જ નગરજનો માટે આશિર્વાદરુપ સાબિત થઈ રહી છે.

વૃક્ષ ગણતરી કરાઈ રહી છે
વર્ષ 2011માં શહેરમાં વૃક્ષ ગણતરી કરવામા આવી હતી. એ સમયે શહેરનો ગ્રીન કવર એરીયા 4.61 ટકા હતો. જે પછી 14 વર્ષ પછી અલગ અલગ વોર્ડ વિસ્તારમાં સાર્સ ઈન્ડિયા નામની એજન્સી દ્વારા વૃક્ષ ગણતરી કરાઈ રહી છે. અત્યાર સુધીમાં 47 વોર્ડમાંથી કુલ 17 લાખથી વધુ વૃક્ષોની ગણતરી પુરી કરવામા આવી છે. આ કામગીરી હજુ પણ ચાલશે. પરંતુ જે મહત્ત્વની બાબત સામે આવી છે જેમાં સફેદ પામ ઉપરાંત રકતચંદન, ગોરખ આમલી પણ મળી આવ્યા છે.

માનવીય જીવનમાં દરેક રીતે ઉપયોગી બની રહે તેવા વૃક્ષોને જાળવવાના બદલે વિકાસના ઓઠા હેઠળ તેને જડમૂળથી કાપી નાંખવામા આવે છે. પરિણામે પર્યાવરણને જાળવવવાની વાતો કરનારા જ વિકાસના નામે વિનાશ નોંતરવામા સહભાગી બને છે.લીવેબલ અમદાવાદ, ગ્રીન સિટી અમદાવાદની ગુલબાંગો હાંકી જવાબદારીમાંથી છટકી જનારા સત્તાધીશો, તંત્રના અધિકારીઓ સમજે તો હજુ પણ પર્યાવરણ સુધરી શકે એમ છે. પણ પર્યાવરણ સુધારવા જાય તો કરોડો રૃપિયાના તેમના સેટીંગ્સ તૂટી જાય એની ચિંતા વધુ હોય છે.
આ પણ વાંચો: 18000 કરોડના બજેટના બણગાં, AMCની તિજોરી તો ખાલી, સરકાર પાસે પૈસાના ફાંફા!
વૃક્ષોનું ઔષધીય અને અન્ય મહત્વ શું છે?
•આંબલી- અપચો, કબજીયાત અને ભુખ ના લાગવી જેવી તકલીફોમાં ફાયદાકારક
•શમી- શનિદેવનું પ્રિય વૃક્ષ છે. વાસ્તુદોષ દૂર થતો હોવાની માન્યતા
•વડ-ખાંસી,દાંતની પીડા અને ઝાડા થવાની સમસ્યામા ફાયદારુપ
•ગુંદા-અથાણુ બનાવવા ઉપરાંત ખાંસી અને કબજીયાતના ઉપચાર માટે ફાયદાકારક
•મિસ્વાક-નેચરલ ટૂથબ્રશની જેમ કામ કરે છે. મોંમા લાળની માત્રા વધારવાની સાથે ડાયાબીટીસના ઉપચારમા કામમા આવે છે.



