गुजरात

રફાળેશ્વર ગામે હુમલામાં ઘવાયેલા યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth injured in attack in Rafaleshwar village dies incident turns into murder



યુવાન પર તેના બે મિત્રોએ ટાઈલ્સથી હુમલો કર્યો હતો

ઈજાગ્રસ્ત યુવાનનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાંં મોત નીપજ્યુંઃ ગુનો નોંધવા અને બનાવનું કારણ જાણવા પોલીસ દ્વારા તજવીજ  

મોરબી: મોરબીના રફાળેશ્વર ગામે રહેતા યુવાન પર બે દિવસ પહેલા તેના જ બે મિત્રએ ટાઇલ્સથી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.

રફાળેશ્વર ગામમાં આંબેડકરનગરમાં રહેતા ભરતભાઇ જગદીશભાઇ ચૌહાણ (ઉ.વ.૩૦) બે દિવસ પહેલા ઘર નજીક આવેલા કૈલાશ નામના કારખાના પાસે હતા ત્યારે તેના જ મિત્ર પ્રદિપ સહિતે હુમલો કરી પેટના ભાગે ગંભીર ઇજા કરી હતી. લોહીલુહાણ હાલતમાં તે ઘરે આવ્યા બાદ સુઇ ગયા હતા. બીજા દિવસે તેના માતા દયાબેન જામનગર દીકરીના ઘરેથી પરત આવ્યા ત્યારે પુત્રને ઇજાગ્રસ્ત હાલતમાં જોતા બનાવ વિશે પુછતા પોતાના પર મિત્ર પ્રદિપે લાદીના ટુકડાથી ઇજા કર્યાનું કહ્યું હતું. તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આજે તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. તીવારી સહિતના સ્ટાફે રાજકોટ પહોંચી યુવાનના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે ખસેડયો હતો.

આ બનાવ અંગે પીઆઇના જણાવ્યા મુજબ, ભોગ બનનાર યુવાન પર બે દિવસ પહેલા તેના જ મિત્રો ગોપાલ રણછોડભાઇ ઝાપડા અને પ્રદિપ કોળીએ જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદ પરથી બંને શખ્સો વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button