નડિયાદના અમદાવાદી બજારમાં ધૂળેટીના પર્વે હાર્ડવેરની દુકાનમાં આગ ભભૂકી ઉઠી | Fire breaks out in hardware shop on Dhuleti eve in Ahmedabadi Bazaar Nadiad

![]()
વલ્લભ હાર્ડવેરમાં લાખોના નુકસાનનો અંદાજ
ફાયર ફાઈટરોએ આગ કાબૂમાં લેતા જાનહાનિ ટળી : શોર્ટ સકટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
નડિયાદ: નડિયાદના વ્યસ્ત અમદાવાદી બજારમાં ધૂળેટીના પર્વે વલ્લભ હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ હતી. પ્લાસ્ટિકના જથ્થાને કારણે વિકરાળ બનેલી આગે બે માળને લપેટમાં લીધા હતા, જેને ૩ ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ કાબૂમાં લેતા મોટી જાનહાનિ ટળી હતી.
નડિયાદ શહેરના હાર્દ સમાન અને હંમેશા ધમધમતા રહેતા અમદાવાદી બજાર વિસ્તારમાં ધૂળેટીના તહેવારની બપોરે વલ્લભ હાર્ડવેર નામની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
દુકાનમાં રાખવામાં આવેલી પ્લાસ્ટિકની પાઈપો અને અન્ય જ્વલનશીલ ચીજવસ્તુઓના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગના લબકારા તેમજ ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાવા લાગ્યા હતા. આગની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે તેણે દુકાનના પહેલા અને બીજા માળને સંપૂર્ણપણે પોતાની લપેટમાં લઈ લીધો હતો.
ઘટનાની જાણ થતા જ નડિયાદ ફાયર બ્રિગેડના જવાનો ૩ ફાયર બ્રાઉઝર અને ટેન્ડરો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સાંકડી ગલીઓ અને ગીચ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં આગ વધુ પ્રસરે તે પહેલા જ ફાયર ફાઈટરોએ પાણીનો સતત મારો ચલાવીને તેને નિયંત્રિત કરવામાં સફળતા મેળવી હતી. સદ્નસીબે તહેવારના કારણે બજારમાં ભીડ ઓછી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હાર્ડવેરનો મોટા પ્રમાણમાં માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાથી લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સકટના કારણે લાગી હોવાનું અનુમાન છે, જોકે તંત્ર દ્વારા આગ લાગવાના સચોટ કારણો જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


