સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from couple by promising them children

![]()
ગાંધીનગર નજીક આવેલા ટીંટોડા ગામમાં
વિધિના બહાને ડબ્બામાં દાગીના અને રોકડ મૂકાવી ચોખા-પથ્થર પધરાવી દઈ છેતરપિંડી આચરી ઃ બે સામે ગુનો
ગાંધીનગર : ગાંધીનગરના ટીંટોડા ગામના એક યુવક સાથે સંતાન પ્રાપ્તિના
નામે લાખોની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. લગ્નના પાંચ વર્ષ બાદ પણ સંતાન
સુખ ન મળતા દંપતીએ ડોક્ટરી સારવાર કરાવી હતી,
પરંતુ સફળતા ન મળતા તેઓ અંધશ્રદ્ધાની જાળમાં ફસાયા હતા. કાકા સસરાએ એક ભુવા
સાથે મળીને વિધિના બહાને કુલ ૨૦.૬૨ લાખની મતા પડાવી લીધી હતી.
હાલમાં અંધશ્રદ્ધા ફેલાવીને ભુવા ભોપાળા કરતા તત્વો નિર્દોષ
વ્યક્તિઓ પાસેથી લાખો રૃપિયા પડાવી લેતા હોય છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેર નજીક
આવેલા ટીંટોડા ગામમાં રહેતા દંપતીને ભુવાનો કડવો અનુભવ થયો છે. જે ઘટના અંગે મળતી
વિગતો પ્રમાણે આ યુવાનના લગ્ન પાંચ વર્ષ અગાઉ કોલવડા ખાતે રહેતી વ્યક્તિ સાથે થયા
હતા અને પાંચ વર્ષના લગ્નજીવન બાદ પણ સંતાન પ્રાપ્તિ થઈ ન હતી. તેમના કાકા સસરા
આનંદજી ધુળાજી ઠાકોર ભુવા હોવાથી તેમનો સંપર્ક કર્યો હતો અને તેમણે હિંમતનગરના
જેતોલ ગામના ભુવા ગેમરભાઈ રબારી સાથે મુલાકાત કરાવી હતી. ભુવાએ સો ટકા સંતાન
પ્રાપ્તિની ખાતરી આપી દંપતીને અવારનવાર વિધિ માટે બોલાવ્યા હતા. આ શખ્સોએ ઘરમાં
નડતર હોવાનું કહીને વિધિના બહાને દંપતી પાસે સ્ટીલના ડબ્બામાં સોના-ચાંદીના દાગીના
અને રોકડ રકમ મુકાવ્યા હતા. વિધિ દરમિયાન દંપતીની આંખો બંધ રખાવીને આ ડબ્બાઓ
રૃમાલથી બાંધી દેવામાં આવતા અને માતાજી રજા ન આપે ત્યાં સુધી ખોલવા નહીં તેવી
ચેતવણી આપી માળિયા પર મુકાવી દેવામાં આવ્યા હતા.જ્યારે આનંદજી ઠાકોર અન્ય લોકો
સાથે પણ આવી છેતરપિંડી કરીને ઘરેથી ભાગી છૂટયા હતા ત્યારે યુવાનને શંકા ગઈ હતી.
તેમણે ઘરમાં મુકેલા ડબ્બા ખોલીને જોતા તેમાં દાગીના કે રોકડને બદલે માત્ર ચોખા અને
પથ્થરો ભરેલા જોવા મળ્યા હતા. આમ,
વિધિના નામે સાડા છ તોલા સોનું,
૨ કિલો ૮૦ ગ્રામ ચાંદી અને ૬ લાખ રોકડા મળીને કુલ ૨૦,૬૨,૦૦૦ની છેતરપિંડી
આચરી હતી. પેથાપુર પોલીસે આ મામલે આનંદજી ધુળાજી ઠાકોર રહે. કોલવડા અને ગેમરભાઈ
રબારી રહે. જેતોલ, હિંમતનગર
વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.



