VIDEO: અમદાવાદની SVP હોસ્પિટલમાં ગંભીર બેદરકારી ચાલતી હોવાનો આક્ષેપ, વીડિયો બનાવનાર યુવતીની માતાનું મોત | vp hospital ahmedabad controversy daughter viral video medical negligence

![]()
SVP Hospital Ahmedabad Controversy : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 800 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી અત્યાધુનિક SVP હોસ્પિટલની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયા પર ક્ષિતિશા સોની નામની યુવતીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેણે રડતા અવાજે હોસ્પિટલના ડોક્ટરો પર બેદરકારી અને આયુષ્માન કાર્ડના નામે દર્દીઓ પર ‘પ્રયોગો’ કરવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. તેની માતા ગીરાબેન સોનીને અસ્થમા અને ડાયાબિટીસની તકલીફ હોવાથી SVP હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમનું ગઈ કાલે બુધવારે રાત્રે સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. જેને કારણે આ વિવાદ વધુ વકર્યો છે. અને સુપ્રીટેન્ડેન્ટે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.
શું છે સમગ્ર મામલો?
ક્ષિતિશાના જણાવ્યા અનુસાર, તેની માતા ગીરાબેન સોનીને અસ્થમા અને ડાયાબિટીસની તકલીફ હોવાથી 21 તારીખે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જનરલ વોર્ડમાં ચાર દિવસ રહ્યા બાદ ડોક્ટરોએ કફ કાઢવા માટે ‘બ્રોન્કોસ્કોપી’ કરવાની સલાહ આપી હતી. આ પ્રક્રિયા દરમિયાન મહિલાને અસ્થમાનો એટેક આવ્યો અને તેમની સ્થિતિ અચાનક કથળવા લાગી હતી. ત્યાર બાદ ગીરાબેનને ICU માં ખસેડવામાં આવ્યા હતા. પુત્રીનો આક્ષેપ છે કે, ડોક્ટરો દરરોજ નવા કાગળો પર સહી કરાવતા હતા. જેમાં ક્યારેક હૃદય 50% કાર્યરત હોવાનું તો ક્યારેક લિવર કે કિડની ડેમેજ થવાનું લખેલું હતું.
“માતાની આંખો કાળી પડી ગઈ, હાથ બાંધી દેવાયા”
”વીડિયોમાં યુવતીએ માતાની દયનીય સ્થિતિ વર્ણવતા કહ્યું કે, ઓક્સિજન માસ્ક એટલું જોરથી દબાવવામાં આવ્યું હતું કે માતાની આંખો કાળી પડી ગઈ છે અને નસમાં હેમરેજ થયું છે. શરીરમાં નસો પંચર થઈ ગઈ હોવાથી ઈન્જેક્શન આપવા માટે ગળાના ભાગે કાણું પાડવું પડ્યું છે. સિનિયર ડોક્ટરો પૂરતો સમય આપતા નથી અને માત્ર આયુષ્માન કાર્ડ હોવાને કારણે દર્દી પર અખતરા કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.”
વીડિયો વાયરલ થતા જ તંત્ર હરકતમાં
આ વીડિયોમાં પીડિત પરિવાર દ્વારા લોકોને “SVPમાં સારવાર માટે ન આવવા”ની અપીલ કરાતા હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. હોસ્પિટલના CEO દ્વારા આ સમગ્ર મામલે તપાસના આદેશો આપવામાં આવ્યા છે. જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહીના પણ આદેશ આપી દેવાયા છે. બીજી તરફ આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાતના આરોગ્ય તંત્રની કથળતી સ્થિતિ ફરી એકવાર સામે આવી છે. એક તરફ સરકાર શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓના દાવા કરે છે, ત્યારે બીજી તરફ આવી ઘટનાઓ સામાન્ય જનતાનો સરકારી તંત્ર પરથી વિશ્વાસ ડગમગાવી રહી છે.
SVP હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટનું નિવેદન
SVP હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સંજય ત્રિપાઠીએ મહિલાના મોત અંગે જણાવ્યું કે, આ કેસમાં ડોક્ટરની કોઈ બેદરકારી નથી. દર્દીને દાખલ કરવામાં આવ્યા ત્યારે ન્યૂમોનિયા અને શ્વાસોશ્વાસની તકલીફ હતી. જમણી બાજુના ફેફસામાં ન્યૂમોનિયાના કારણે અસર થઈ હતી. દરેક HOD દ્વારા રેગ્યુલર રાઉન્ડ લઈને માહિતી આપવામાં આવતી હતી. SVP હોસ્પિટલમાં રોજના 4થી 5 દર્દીના મોત થાય છે. 1200 બેડથી વધુની કેપેસિટી છે જેમાં હાલ 450 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
વિપક્ષના નેતાએ કર્યા પ્રહાર
SVP હોસ્પિટલમાં મહિલાના મોત અંગે AMCના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું કે, SVP હોસ્પિટલમાં દીકરી માતાને સારવાર માટે લઈને આવે છે અને ડોક્ટર પોતે કન્ફ્યુઝ હોય છે કે શું સારવાર કરવી. સારવારમાં ઓક્સિજન માસ્ક એવી રીતે લગાવવામાં આવ્યું કે આંખો કાળી થઈ ગઈ હતી. આંખોની તકલીફ માટે નગરી હોસ્પિટલથી 2 વિધાર્થી આવીને સારવાર કરે છે. SVP હોસ્પિટલ લોકોના જીવ લેવાનું કામ કરે છે. કરોડો રૂપિયાના ખર્ચે હોસ્પિટલ બનાવાઈ છે. ગરીબો માટે VS હોસ્પિટલ બનાવાઈ હતી એને બંધ કરી દેવાઈ છે. SVPમાં રોજના 4 વ્યક્તિઓના મોત થાય છે. લોકો ચાલીને આવે છે અને સ્ટ્રેચર પર બહાર આવે છે.



