ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહોના કુદરતી અને 64ના અકુદરતી મોત, એક વર્ષમાં 148 ગુમાવ્યાં | Gujarat Reports 322 Lion Deaths in 2 Years Including 64 Unnatural Cases

Asiatic Lions Reports: ગુજરાતમાં બે વર્ષમાં 322 સિંહના મૃત્યુ થયા છે. જેમાં 75 સિંહ, 91 સિંહણ અને 148 બાળસિંહનો સમાવેશ થાય છે. આ પૈકી 17 સિંહ, 24 સિંહણ અને 22 સિંહબાળના અકુદરતી રીતે મોત થયાનું સામે આવ્યું છે. વર્ષ 2024માં 165 અને વર્ષ 2025માં 148 સિંહના મોત થયા હતા.
સિંહ અંગે સરકાર દ્વારા આપી માહિતી
વિધાનસભામાં પ્રશ્નોારીમાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 31મી જાન્યુઆરીની સ્થિતિએ ગુજરાતમાં કુલ 891 એશિયાટિક સિંહ છે. જેમાં 255 સિંહ, 405 સિંહણ અને 231 બાળસિંહનો સમાવેશ થાય છે. આ વર્ષે જાન્યુઆરીમાં જ 9 સિંહના મોત થયા છે. છેલ્લા બે વર્ષમાં 322માંથી 64 સિંહનું કૂવામાં પડવા, વાહનની ટક્કર જેવા અકુદરતી કારણથી મોત થયું છે. 64માંથી 41 સિંહ પુખ્ત અને 22 બાળવયના હતા, જ્યારે એકની ઓળખ થઈ શકી નથી.

સરકાર દ્વારા કયા પ્રકારના પગલાં લેવાયા
સિંહના અકુદરતી મોત પર નિયંત્રણ મેળળવા કયા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે તે અંગે માહિતી આપતાં સરકારે જણાવ્યું હતું કે, સિંહોને તાકીદે સારવાર મળી રહે તેના માટે વિવિધ સ્થાને સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ વેટરનરી ડૉક્ટરની નિમણૂક કરાઈ છે. તાકીદે સારવાર માટે પહોંચાડી શકાય તેના માટે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા છે.
આ ઉપરાંત ઠેકઠેકાણે સ્પીડબ્રેકર મૂકવા, સાઇનબોર્ડ રાખવા, નિયમિત ફૂટ પેટ્રોલિંગ, કૂવાને પેરાપેટ વોલથી ઢાંકવા, રેલવે ટ્રેક પાસે ફેન્સિંગ કરવા સહિતના પગલાં લેવામાં આવ્યા છે. સિંહ માટે રેડિયો કોલરિંગની કામગીરી પૂરી થઇ છે અને સાસણ ખાતે હાઇટેક્ મોનિટરિંગ યુનિટ, જ્યારે સક્કરબાગમાં ક્વોરેન્ટાઇન ઝોન બનાવવામાં આવ્યો છે.


