ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ, દર્શન માટે ભક્તો ઉમટયા | Phagani Poonam fair begins in Dakor devotees flock for darshan

![]()
– અમાલકી એકાદશીનો ઉત્સવ ઉજવાયો
– ઠાકોરજીની સવારી શહેરમાં ફરીને નિજ મંદિરે પરત આવી, પદયાત્રિકોનો પ્રવાહ વધશે
ડાકોર : યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. આજે આમલકી એકાદશીના ઉત્સવને લઇ સવારથી મંદિરમાં દર્શન માટે ભક્તો ઉમટયા હતા. મંદિરમાં અબીલ ગુલાલ, કંકુ અને નવરંગથી રંગાયું હતું. ભક્તો સાથે ઠાકોરજી શણગાર સાથે ભોગમાં હોળીના નવરંગે રંગવામાં આવ્યા હતા. ઠાકોરજીને ખજૂર, ધાણી અને હારકાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. બપોરે રાજભોગ ધરાવાયો હતો.જે બાદ દર્શન સાંજે ૪ વાગ્યે ખૂલ્યા હતા.સાંજે ઠાકોરજીને આજ્ઞાામાળા ગોપાલ લાલજીને પહેરાવી બિરાજમાન કરાયા હતા. ભક્તો સાથે અબીલ ગુલાલ નવરંગોનો છંટકાવ કરતા કરતા લાલબાગમાં ગોપાલ લાલજીને લઇ જવામાં આવ્યા હતા. આમલકી એકાદશીનો ઉત્સવ ઉજવવમાં આવ્યો હતો. જેમાં સેવક ભાઇઓ ગોપાલ લાલજીને નવરંગે રંગીને અબીલ, ગુલાલ અને નવરંગના રંગોથી ભક્તો પર છંટકાવ કરતા હતા. ઠાકોરજીની સવારેમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ સહિત ભક્તો જોડાયા હતા અને સાંજના છ વાગ્યા આસપાસ લાલબાગથી ભાગવાનની સવાર પરત મંદિરે આવી હતી. જે નિત્યક્રમ અનુસાર લક્ષ્મીજી સાથે ઠાકોરજીને લક્ષ્મીજીને મંદિરમાં બિરાજમાન કરાવી અને ભોગ ધરાવી પરત મંદિરમાં લાવવામાં આવી હતી.



