લખતર-રાજકોટ વાયા સુરેન્દ્રનગર રૂટની બસ અચાનક બંધ કરાતા મુસાફરોમાં રોષ | Passengers angry over sudden suspension of Lakhtar Rajkot via Surendranagar route buses

![]()
– પૂર્વ સૂચના વગર રૂટ સ્થગિત કરતા નોકરિયાતો-વિદ્યાર્થીઓ અટવાયા
– પૂછપરછ બારી પર અધિકારીઓના ઉદ્ધત જવાબથી મુસાફરોમાં નારાજગી : રૂટ પુનઃ શરૂ કરવા માંગ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરથી રાજકોટ જતી મહત્વની ગણાતી લખતર-રાજકોટ એસ.ટી. બસ સેવા તંત્ર દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. દરરોજ સવારે ૭-૩૦ વાગ્યે ઉપડતી આ બસ ખાસ કરીને નોકરિયાત વર્ગ અને અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ હતી.
કોઈપણ પૂર્વ સૂચના વગર રૂટ બંધ થતા મુસાફરોને સમયસર પહોંચવા માટે મોંઘા ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે, જેના કારણે આથક બોજ અને અસુવિધા બંને વધી છે.
રોષે ભરાયેલા મુસાફરોએ જ્યારે પૂછપરછ બારી પર આ અંગે તપાસ કરી, ત્યારે એસ.ટી. તંત્ર તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. કર્મચારીઓના ઉદ્ધત વર્તનથીના ઉદાસીન વલણને પગલે મુસાફરોમાં વધુ નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક મુસાફરો અને વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી. વિભાગમાં ઉગ્ર રજૂઆત કરી છે કે આ રૂટ પરની બસ સેવા તાત્કાલિક ધોરણે પુનઃ શરૂ કરવામાં આવે જેથી રોજિંદા અપ-ડાઉન કરતા લોકોની હાલાકીનો અંત આવે. મુસાફરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા વહેલી તકે આ ગંભીર પ્રશ્નનું નિરાકરણ લાવવામાં નહીં આવે, તો તેઓ આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરશે. એસ.ટી. નિગમની આ મનસ્વી નીતિ સામે મુસાફરોમાં અત્યારે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.



