સુરત: ખાટુ શ્યામ મંદિરે ફાગુન મેળાના પ્રારંભે જ અરાજકતા, VIP કલ્ચર વચ્ચે શ્રદ્ધાળુઓ અને વૃદ્ધોને હડધૂત કરાયા | Elderly Devotees Mistreated at Surat’s Khatu Shyam Mandir

![]()
Surat’s Khatu Shyam Mandir : સુરતમાં આજ(27 ફેબ્રુઆરી, 2026)થી ખાટુ શ્યામ મંદિર ખાતે પરંપરાગત ફાગુન મેળાનો પ્રારંભ થયો છે, પરંતુ પ્રથમ દિવસે જ મંદિર વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અને અરાજકતા સામે આવી છે. શ્રદ્ધા સાથે દર્શન કરવા આવેલા હજારો ભક્તોને સુરક્ષા કર્મીઓ અને મંદિરના સભ્યોના ઉદ્ધત વર્તનનો સામનો કરવો પડ્યો હતો.
સામાન્ય ભક્તો માટે હાલાકી, વીઆઇપી માટે ‘ખાસ’ વ્યવસ્થા
હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે આયોજિત આ ફાલ્ગુન મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આરોપ છે કે મંદિરના ટ્રસ્ટી મંડળ અને સભ્યોના સંબંધીઓને ‘VIP એન્ટ્રી’ આપવામાં આવી રહી હતી. એટલું જ નહીં, તેમના માટે નાસ્તા-પાણીની ખાસ સુવિધા પણ કરવામાં આવી હતી.
બીજી તરફ, લાકડીના ટેકે ચાલતા વૃદ્ધો સાથે પણ સુરક્ષા કર્મીઓએ તોછડું વર્તન કર્યું હતું. એક દૃશ્યમાં જોવા મળ્યું કે, એક અશક્ત વૃદ્ધાને સુરક્ષા કર્મીએ માન આપવાને બદલે હડધૂત કરી સામાન્ય લાઇનમાં ધકેલી દીધા હતા.
મીડિયાકર્મીઓ પર રોફ જમાવતા ટ્રસ્ટીઓ
મેળાનું કવરેજ કરવા પહોંચેલા મીડિયાકર્મીઓને પણ આ અરાજકતાનો ભોગ બનવું પડ્યું હતું. મંદિર દ્વારા સત્તાવાર પાસ આપવામાં આવ્યા હોવા છતાં, સુરક્ષા કર્મીઓ અને ટ્રસ્ટી મંડળના સભ્યોએ પત્રકારો સાથે ગેરવર્તન કર્યું હતું. જ્યારે મીડિયાકર્મીઓએ પોતાની ઓળખ આપી, ત્યારે ટ્રસ્ટીઓએ ઉદ્ધત જવાબ આપતાં કહ્યું કે, “મીડિયાવાળાને પણ એન્ટ્રી નથી, તમારે જેને કહેવું હોય તેને કહી શકો છો.”
વહીવટી તંત્રનો બચાવ
આ સમગ્ર અવ્યવસ્થા અંગે જ્યારે ખાટુ શ્યામ મંદિરના ડાયરેક્ટર કૈલાશ હકીમ સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે બચાવ કરતાં જણાવ્યું કે, “અમે પૂરતી વ્યવસ્થા કરી છે, પરંતુ દરેક પોઇન્ટ પર અલગ-અલગ માણસો તૈનાત હોવાથી ક્યાંક ગેરસમજ કે અવ્યવસ્થા સર્જાઈ શકે છે. હું અત્યારે જ જવાબદારો સાથે વાત કરી આ મામલો થાળે પાડું છું.”
ભક્તોમાં રોષ
ભક્તોનું કહેવું છે કે બાબાના દરબારમાં બધા સમાન હોવા જોઈએ, પરંતુ અહીં ખુલ્લેઆમ ભેદભાવ જોવા મળી રહ્યો છે. ધાર્મિક ઉત્સવમાં ભક્તિના સ્થાને વહીવટદારોનો અહંકાર જોવા મળતાં શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો છે.



