‘સમજી-વિચારીને ઘડેલું કાવતરું છે’, ગુજરાત યુનિવર્સિટી તોડફોડ કાંડ મામલે કુલપતિ લાલઘૂમ | Planned Conspiracy: Gujarat University VC Slams NSUI Over Campus Vandalism

![]()
Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ ભવનમાં થોડાક દિવસો પહેલા NSUI દ્વારા કરવામાં આવેલી તોડફોડના મામલે કુલપતિએ આક્રમક વલણ અપનાવ્યું છે. કુલપતિએ આ ઘટનાને યુનિવર્સિટીની છબી ખરડવા માટેનું કાવતરું ગણાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે શૈક્ષણિક સંકુલમાં આવી અરાજકતા ચલાવી લેવામાં આવશે નહીં અને જવાબદારો સામે કાયદાકીય તેમજ શિસ્તભંગના કડક પગલાં ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, અટલ કલામ ભવનમાં આયોજિત એક પ્રદર્શનમાં 16મી ફેબ્રુઆરીથી વિવિધ ન્યૂઝ પેપરના કટિંગ્સ સહિત સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા મહાનુભાવોના ઐતિહાસિક પત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન 16થી 23 ફેબ્રુઆરી સુધી શાંતિપૂર્ણ રીતે ચાલ્યું હતું. આ દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી સંગઠન કે NSUI તરફથી કોઈ વિરોધ કે રજૂઆત કરવામાં આવી નહોતી. જોકે, 23મી ફેબ્રુઆરીએ અચાનક NSUIના કાર્યકર્તાઓ અને નેતાઓએ કોઈ પણ પૂર્વ સૂચના વગર કે વાતચીત કર્યા વગર પ્રદર્શનમાં તોડફોડ કરી પોસ્ટરો અને મટિરિયલ ફાડી નાખ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતના હજીરામાં L&Tના હજારો કર્મચારીઓએ પ્લાન્ટમાં તોડફોડ મચાવી
કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે, આ તોડફોડ કોઈ આવેશમાં આવીને કરેલું કૃત્ય નથી પરંતુ સમજી-વિચારીને ઘડાયેલું કાવતરું હતું. એક ધર્મ પર વાણી દ્વારા પ્રહાર કરવાના આક્ષેપો પણ સામે આવ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે. યુનિવર્સિટી તંત્રએ આ મામલે ઇન્ક્વાયરી કમિશનની નિમણૂક કરી છે અને CCTV ફૂટેજના આધારે તોડફોડ કરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે. હાલ પૂરતું વિદ્યાર્થીઓના હિતમાં પ્રવેશ રદ કરવાનો નિર્ણય પાછો ખેંચાયો છે, પરંતુ બેદરકારી બદલ સિક્યોરિટી એજન્સીને શો-કોઝ નોટિસ ફટકારીને સુરક્ષાકર્મીઓ બદલી નાખવામાં આવ્યા છે.


