અમદાવાદમાં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારાને 15% રિબેટ મળશે, જાણો ક્યાં સુધી લાભ લઈ શકાશે? | ahmedabad property tax advance rebate scheme 2026

![]()
Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2026-27ના આગોતરા મિલકત વેરા (Advance Property Tax) ભરનારા નાગરિકો માટે પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. રેવન્યુ કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, સમયસર અને ઓનલાઇન ટેક્સ ભરનારા કરદાતાઓને 12% થી લઈને 15% સુધીનું વળતર (Rebate) આપવામાં આવશે.
કોને કેટલો લાભ મળશે?
રેવન્યુ કમિટીના ચેરમેન અનિરૂદ્ધસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, આગામી 9 એપ્રિલથી 31 મે સુધી એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓ માટે નીચે મુજબની રીબેટ યોજના અમલમાં રહેશે. જે કરદાતાઓ એડવાન્સ ટેક્સ ભરશે તેમને 12% રીબેટ મળશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઇન ટેક્સ ભરનારાઓને 13% રીબેટ અપાશે. એટલે કે 1% વધારે વળતર અપાશે. જે કરદાતા છેલ્લા 3 વર્ષથી સતત ઓનલાઇન ટેક્સ ભરી રહ્યા છે, તેમને સૌથી વધુ 15% વળતરનો લાભ મળશે.
વ્યાજમાફી સ્કીમની સફળતા
શહેરમાં જાન્યુઆરી મહિનાથી અમલમાં આવેલી વ્યાજમાફી સ્કીમને પણ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. 25 ફેબ્રુઆરી સુધીમાં તંત્રને આ સ્કીમ હેઠળ કુલ રૂ. 282.81 કરોડની આવક થઈ છે. જેમાંથી આશરે રૂ. 22.99 કરોડનું વ્યાજ માફ કરવામાં આવ્યું છે, આમ નેટ રૂ. 259.82 કરોડ જેટલી રકમ કોર્પોરેશનની તિજોરીમાં જમા થઈ છે. આ સ્કીમ આગામી 31 માર્ચ સુધી ચાલુ રહેશે.
પશુ કલ્યાણ સંસ્થાઓને મોટી રાહત
આ બેઠકમાં એક મહત્વનો સામાજિક નિર્ણય પણ લેવામાં આવ્યો છે. મુંગા પશુઓ માટે કાર્ય કરતી અને ચેરિટી કમિશનર હેઠળ નોંધાયેલી સંસ્થાઓને મિલકત વેરામાંથી મુક્તિ આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી પાંજરાપોળ અને ગૌશાળાઓ જેવી સેવાભાવી સંસ્થાઓને મોટો આર્થિક ટેકો મળશે.



