અમદાવાદ: વસ્ત્રાપુરમાં 2 યુવક પર છરા અને લાકડીથી જીવલેણ હુમલો કરનારા 5 શખસ 10 દિવસે ઝડપાયા | 5 Arrested for Brutal Attack in Vastrapur After 10 Day Delay in Ahmedabad

Ahmedabad News : અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ગત 14 ફેબ્રુઆરી, 2026ની મધરાતે જૂની અદાવતમાં થયેલા જીવલેણ હુમલાના કેસમાં વસ્ત્રાપુર પોલીસે મોડે મોડે 10 દિવસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગત 24 તારીખે મોડી રાતે ધરપકડ કરાયા બાદ આજે(25 ફેબ્રુઆરી) ઘટનાસ્થળે પાંચેયને લાવીને રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
વસ્ત્રાપુરમાં જીવલેણ હુમલો કરનારા 5 શખસ 10 દિવસે ઝડપાયા
મહત્ત્વનું છે કે, ગત 14 ફેબ્રુઆરીએ ઘટના બની ત્યારે ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદી દ્વારા જીવલેણ હુમલાની કલમ ઉમેરવા કહ્યું હતું કે, ‘છેટા પોલીસે કલમ ઉમેરી નહોતી.’ આ પછી ઘટનાના ત્રણ દિવસે અંતે રજૂઆત બાદ જીવલેણ હુમલાની કલમ ઉમેરવામાં આવી હતી. આ પછી એક અઠવાડિયા બાદ આરોપીને ઝડપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ફરિયાદી મહાવીરસિંહ મોરી અને તેમના મિત્ર કિરપાલસિંહ પર 15થી 20 શખસો દ્વારા છરા, લાકડી અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. વસ્ત્રાપુર પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ કરી આમાં સંડોવાયેલા પાંચ આરોપીઓને દબોચી લીધા છે.
પોલીસ કાર્યવાહી દરમિયાન હુમલામાં વપરાયેલી નંબર પ્લેટ વગરની કાળા રંગની ક્રેટા કાર અને અન્ય હથિયારો કબજે કરવામાં આવ્યા છે. પોલીસે બાતમીના આધારે આ કારને કોર્ડન કરી આરોપીઓની ધરપકડ કરી હતી. હાલમાં આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની આ મોડી કામગીરીને કારણે શંકા થઈ રહી છે.


