વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને કારણે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં મુશ્કેલી પડશે | Students will have difficulty reaching board exams on time due to excavations in Vadodara

![]()
Vadodara : આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. પરીક્ષાઓ અગાઉ આજે વિવિધ શાળા ખાતે વિદ્યાર્થીઓને તેમની બેઠક વ્યવસ્થા જોવાની તક આપવામાં આવી હતી. શહેરની નવજીવન સ્કૂલમાં આવેલ વિદ્યાર્થીઓને તેમની બેઠક નંબરના આધારે આચાર્યએ સમજ આપી હતી.
આવતીકાલ સવારે 9 કલાકે વિવિધ શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે અને 10 કલાકથી પરીક્ષા શરૂ થશે. બાળકોને પ્રવેશ પ્રસંગે મોટાભાગની શાળાઓ સાંકળ ખવડાવી, મોં મીઠું કરી, તથા શુભેચ્છારૂપી ફૂલથી તેઓનું સ્વાગત કરશે. ખાસ કરીને બાળકોએ શાળા કેન્દ્ર ખાતે સમયસર પહોંચવું અતિ જરૂરી છે. કારણ કે ચોક્કસ સમય મર્યાદા પછી તેઓને શાળામાં પ્રવેશ મળશે નહીં. હાલ જ્યારે શહેરના મોટાભાગના તમામ વિસ્તારમાં રસ્તા ખોદીને વિવિધ કામગીરી ચાલી રહી છે ત્યારે ખાસ કરીને વાલીઓએ પણ આ બાબતે તકેદારી લઈ પોતાના બાળકોને વહેલા ઘરેથી લઈ નીકળવું હિતાવહ છે. પરીક્ષા કેન્દ્ર નજીક હોય તેમ છતાં કોઈપણ કચાસ ન રહે તેને ધ્યાનમાં લઇ બાળકો સમયસર પહોંચે અને પોલીસ વિભાગ તેમની મદદે આવે તે પ્રત્યેક બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે અનિવાર્ય છે.


