સરકારનું જૂઠાણું? અમદાવાદમાં મેલેરિયાના કેસ બાબતે સરકાર અને AMCના આંકડામાં જમીન-આકાશનો ફેર! | Ahmedabad Malaria Data Row: Govt Reports 10 Cases AMC Shows 800

![]()
Malaria Cases In Ahmedabad: કોરોના હોય કે કોઈ પણ રોગચાળો તેના પર અંકૂશ મેળવવા કરતાં તેના સાચા આંકડા કઈ રીતે છુપાવવા તેમાં જ સરકારને વધુ રસ હોય તેમ ફરી પુરવાર થયું છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં મેલેરિયાના માત્ર 10 જ કેસ નોંધાયાનું આરોગ્ય વિભાગે વિધાનસભામાં સ્વીકાર્યું છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર આંકડા પ્રમાણે વર્ષ 2025માં જ અમદાવાદમાંથી સાદા મેલેરિયાના 700થી વધુ જ્યારે ઝેરી મેલેરિયાના 100થી વધુ કેસ નોંધાયા હતા.
….તો સાચું કોણ?
અમદાવાદ જિલ્લામાં બે વર્ષમાં પાણીજન્ય-મચ્છરજન્ય બીમારીના કેટલા કેસ નોંધાયા તે અંગેના પ્રશ્નમાં આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, અમદાવાદમાં વર્ષ 2025માં કમળાના 31, ટાઈફોઈડના 57, મેલેરિયાના ચાર કેસ નોંધાયા છે. જેની સરખામણીએ 2024માં કમળાના 24, ટાઈફોઈડના 73 અને મેલેરિયાના 6 કેસ નોંધાયા હતા. બીજી તરફ પાણીજન્ય રોગચાળાના વર્ષ 2024માં 12141 જ્યારે વર્ષ 2025માં 10121 કેસ સામે આવ્યા હતા. આમ બે વર્ષમાં જ પાણીજન્ય રોગચાળાના 22 હજારથી વધુ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં ખાસ કરીને ચોમાસા બાદ મેલેરિયાના કેસમાં ભારે વધારો જોવા મળતો હોય છે. હવે એક સવાલ એવો પણ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખુદ રોગચાળાના આંકડા છુપાવવા જાત-જાતના અખતરા કરે છે. ત્યારે સરકારનું આરોગ્ય વિભાગ પણ તેમની સાથે જાણે સ્પર્ધામાં ઉતાર્યું છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2021થી 2025 સુધી મલેરિયાના 18 હજારથી કેસ નોંધાયેલા છે. જેની સરખામણીએ 2018માં 22114, 2019માં 13883 અને 2020માં 4771 કેસ નોંધાયા હતા.



