મોરબીમાં ઓવરટેક બાબતે સોની યુવકની હત્યાના પડઘા સૌરાષ્ટ્રમાં પડ્યા, સુવર્ણકાર સંઘે આવેદનપત્ર પાઠવ્યા | morbi Jatin Soni Murder Case amreli and mahuwa jewellers Demand strict punishment accused

Morbi Jatin Soni Murder Case: મોરબીમાં ઓવરટેક કરવા બાબતે સોની યુવક જતીન રમેશભાઈ આડેસરાની હત્યા કરી દેવા સમગ્ર મોરબી સહિત સૌરાષ્ટ્ર પંથકમાં તેના પડઘા પડ્યા છે. આજે સોમવારે આ હત્યાના વિરોધમાં અમરેલી જિલ્લા સુવર્ણકાર સંઘે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.
અમરેલી જિલ્લા સુવર્ણકાર સંઘે શું માગ કરી?
આ સાથે અમરેલી જિલ્લા સુવર્ણકાર સંઘે જતીન રસિકભાઈ આડેસરાના પરિવાર સાથે ઉભા રહીને શોક વ્યક્ત કર્યો છે અને એક સૂરે કહ્યું છે કે, મોરબી રાજકોટ હાઈવે પર તારીખ 18 ફેબ્રુઆરીના રોજ અમારા સમાજના યુવકની ઓવરટેક જેવી સામાન્ય બાબતે હત્યા કરી છે, કાયદો વ્યવસ્થા ખોરવનારા અને ગેરમાર્ગે દોરાયેલા યુવાનોને આકરી સજા થવી જોઈએ. આ સાથે સુવર્ણકાર સંઘે ટ્રાફિક નિયમોનું સમાન રીતે પાલન કરાવવા કડક હાથે પોલીસ પગલાં લે તેવી પણ માગ કરી હતી.
શું છે સમગ્ર ઘટના
કાયદા અને પોલીસ તંત્રને પડકારતી આ ઘટના ગુરુવારે 18 ફેબ્રુઆરીના દિવસે રાજકોટ-મોરબી હાઈવે પર બની હતી, જ્યારે મોરબીના સોની વેપારી જતીન રસિકભાઈ આડેસરા વાસ્તુનો પ્રસંગ હોવાથી તેમની બહેનની તેડવા ગયા હતા. રાજકોટથી મોરબી તરફ આવતા હતા. શનાળા રોડ પર સાઈડ આપવા જેવી સામાન્ય બાબત તેમની અજાણ્યા યુવકો સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ આવેશમાં આવી ગયેલા યુવાનોએ કારનો કાચ નીચે ઉતારી પરિવારની હાજરીમાં ગાળાગાળી કરી હતી. અને જતીનભાઈને કારમાંથી ખેંચી નીચે ઉતારી છરીના ઘા મારી દીધા હતા. 15 મિનિટ સુધી જતીનભાઈ તરફડિયાં માર્યા બાદ પરિવાર સામે જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. સૌથી આઘાતજનક વાત છે કે હવે તેમની 11 માસની માસૂમ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

બે સગીર આરોપીની ધરપકડ
મૃતકના ભાઈ મૌલિકએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સક્રિય થયેલી પોલીસે જતીન સોનીની હત્યાના આરોપમાં બે યુવકની ધરપકડ કરી હતી. જે સગીર હોવાનું ખૂલ્યું હતું. બન્ને આરોપીઓમાં એકની ઉંમર 17 વર્ષ 5 મહિના તો બીજાની ઉંમર 18 વર્ષમાં 7 દિવસ જ ઓછી છે. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમના ઘરે પણ દરોડા પાડયા હતા. જેમાં યુવકોના ઘરેથી 22 નંગ બીયરના ટીનનો જથ્થો પણ મળી આવ્યો હતો.
સોની યુવકની સામાન્ય બાબતે હત્યા કરી દેવાતા ગુજરાતભરના સોની સમાજમાં આક્રોશ છે, હત્યાના વિરોધમાં મોરબી બજાર એક દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સોની બજારના વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી કૃત્યની આકરી નિંદા કરી પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાલ ઠેર ઠેર આવેદનપત્રો આપી આરોપી સામે કડક પગલાં લેવાય તેવી માગ થઈ રહી છે.



