વડોદરા: વૃદ્ધા વહેલી સવારે પથારીમાં બેહોશ, વૃદ્ધ રાત્રે ઘરમાં બેહોશ: બંનેના મોત | Two Elderly Persons Found Dead After Fainting at Home in Vadodara

![]()
પંચમહાલ પંથક અને વડોદરાના વિવિધ વિસ્તારમાં રહેતા વૃદ્ધા અને વૃદ્ધ પોતપોતાના ઘરે બેહોશ હાલતમાં મળી આવ્યા હતા. સારવાર અર્થે એસએસજીમાં લાવતા ફરજ પરના તબીબોએ બંને વૃદ્ધને મૃત જાહેર કરી પોસ્ટ મોર્ટમ માટે બંને મૃતકોની લાશ કોલ્ડ રૂમમાં મુકાઈ હતી.
બનાવની વિગત એવી છે કે, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા નજીક દામાવાવ ખાતે રહેતા કેલીબેન કાગડાભાઈ રાઠવા (ઉં. 66) વડોદરાના મૂજ મહુડા ખાતે સબંધીને ત્યાં આવ્યા હતા રાત્રે સુઈ ગયા હતા. પરંતુ સવારે તેમના શરીરનું કોઈ હલનચલન નહીં જણાતા પરિવારજનો સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ દરમિયાન વૃધ્ધાને મૃત ઘોષિત કરી હતી.
જ્યારે અન્ય બનાવમાં શહેરના ન્યુ વીઆઇપી રોડના શિવ બંગ્લોઝમાં રહેતા વૃદ્ધ અનિલભાઈ જય ભગવાન શર્મા (ઉં. 64) પોતાના ઘરે ગઈ રાત્રે અચાનક બેહોશ થઈ ગયા હતા. જેથી પરિવારજનો બેહોશ વૃદ્ધને સારવાર માટે એસએસજીમાં લાવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ દરમિયાન વૃદ્ધને મૃત ઘોષિત કર્યા હતા. જેથી બંને મૃતકોની લાશ પોસ્ટ મોર્ટમ માટે કોલ્ડ રૂમમાં મુકાઈ હતી.


