મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત | Tragic Car Accident Near Unawa Mehsana: 4 Dead From Ahmedabad Family

![]()
Ahmedabad Mehsana Accident News : મહેસાણા-ઊંઝા હાઈવે પર આજે વહેલી સવારે કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપીને મોં પર ખુશીઓ સાથે ઘરે પરત ફરી રહેલા અમદાવાદના એક પરિવારને નિયતિએ ઘરના આંગણે પહોંચતા પહેલા જ છીનવી લીધો છે.
અમદાવાદના રામોલ વિસ્તારમાં સન્નાટો
અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા કુમાવત પરિવાર માટે આજની સવાર ક્યારેય ન ભૂલાય તેવું દુઃખ લઈને આવી છે. મૂળ રાજસ્થાનના પાલીના વતની આ પરિવારના સભ્યો વતનમાં એક લગ્ન પ્રસંગ માણીને નવી આશાઓ અને યાદો સાથે અમદાવાદ પરત ફરી રહ્યા હતા. પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. ઉનાવા હાઈવે પર તેમની ઈકો કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે અથડાતા આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત અને 6 જેટલા ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટનાસ્થળનું હૃદયદ્રાવક દ્રશ્ય
મહેસાણા-ઊંઝા હાઈવે પર ઉનાવા નજીક સર્જાયેલો અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં રામલાલ કુમાવત, કૈલાશભાઈ કુમાવત, કોમલબેન અને એક નિર્દોષ માસૂમ બાળક સહિત કુલ 4 સભ્યોએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા.
પોલીસ તપાસ અને કાર્યવાહી
બનાવની જાણ થતા જ ઉનાવા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કાર ચાલકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતનો ગુનો નોંધ્યો છે. હાઈવે પર વિખરાયેલી ઘરવખરી અને લોહીના ડાઘા એ વાતની સાક્ષી પૂરી રહ્યા હતા કે સ્પીડ અને બેદરકારી કેવી રીતે એક હસતા-રમતા પરિવારને ઉજ્જડ કરી શકે છે.



