ગુજરાતમાં શિક્ષણની અવદશા ઉજાગર, નર્મદા જિલ્લામાં 145 શાળાઓમાં એક જ શિક્ષક | narmada district education crisis 145 single teacher schools gujarat

![]()
Narmada News : ભણશે ગુજરાત તેવા ઢોલ પીટાઇ રહ્યાં છે ત્યારે રાજ્યમાં શિક્ષણની અવદશા ઉજાગર થઇ છે. વિધાનસભા ગૃહમાં ખુદ શિક્ષણમંત્રીએ સ્વિકાર્યુ કે, માત્ર નર્મદા જીલ્લામાં જ 145 શાળાઓ એવી છે જ્યાં નામપુરતો એક જ શિક્ષક છે. હવે આ શાળામાં વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરતાં હશે તેની કલ્પના કરવી રહી.
શિક્ષણમંત્રીએ સ્વીકાર્યું : નર્મદા-દાહોદ જિલ્લામાં 1833 શિક્ષકોની ઘટ, શિક્ષકો ‘સર’ માં વ્યસ્ત
અતિપછાત નર્મદા અને દાહોદ જિલ્લામાં શિક્ષણનું સ્તર ગગડ્યુ છે કેમ કે, ખુદ રાજ્ય શિક્ષણ વિભાગે કબૂલ્યુ છેકે, નર્મદા જિલ્લામાં 549 શિક્ષકો અને દાહોદ જીલ્લામાં 1284 શિક્ષકોની ઘટ પ્રવર્તી છે. આ ઉપરાંત નર્મદા જિલ્લામાં 145 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. હવે એક શાળામાં એકથી આઠ ધોરણ હોય તો એક શિક્ષક બધાય ધોરણના વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવે તે સવાલ ઉઠ્યો છે. આ ઉપરાંત શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવામાં આવે છે.
ઝાડ નીચે બેસીને ભણવા મજબુર વિદ્યાર્થી
હવે શિક્ષકો જો મિટીંગ અથવા તો સરની કામમાં વ્યસ્ત હોય તો વિદ્યાર્થીઓના અભ્યાસનું શું? પછાત આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતી વઘુને વઘુ કથળી રહી છે ત્યારે સરકાર આ મામલે જરાય ગંભીર નથી. ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે, આદિવાસી વિસ્તારોમાં શાળાઓમાં પુરતા ઓરડાઓ પણ નથી. ભાડાના મકાનમાં વિદ્યાર્થીઓ ભણે છે, ઘણાં ઠેકાણે ઝાડ નીચે બેસીને ભણવા વિદ્યાર્થીઓ મજબૂર છે. દર વર્ષે બજેટમાં શિક્ષણ માટે હજારો કરોડોની જોગવાઈ કરાય છે તો પછી આદિવાસી વિસ્તારોમાં શાળાઓના ઓરડાઓ કેમ બનાવવામાં આવતા નથી. શિક્ષકોની ભરતી કેમ કરાતી નથી. 30 વર્ષની ભાજપનુ શાસન છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓના ઓરડા અને શિક્ષકો પૂરા પાડવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે.
ડભોઇના ગોજાલી ગામ પાસેની પ્રાથમિક શાળામાં માત્ર બે વિદ્યાર્થીઓ માટે બે શિક્ષકો
ડભોઇ તાલુકાના ગોજાલી ગામ પાસે આવેલી વસાહતમાં પ્રાથમિક શાળામાં માત્ર બે વિદ્યાર્થીઓ માટે બે શિક્ષકો ફરજ બજાવે છે. તંત્ર દ્વારા શાળાના ત્રણ ઓરડામાં વહીવટનો અનોખો નમૂનો જોવા મળે છે. એક તરફ શાળાઓમાં શિક્ષકોની ઘટ છે ત્યાં જ આ વસાહતની પ્રાથમિક શાળામાં બે બાળકો વચ્ચે બે શિક્ષકો જોવા મળે છે. ગોજાલી ગામ પાસે એક વસાહતમાં શાળામાં માત્ર વિદ્યાર્થીઓની સંખ્યા છે. જ્યારે શિક્ષકો પણ બે જ છે.સરકારી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ ખર્ચો કરે છે પરંતુ કંઇ જગ્યાએ ખર્ચો થાય તે ઘ્યાન અપાતુ નથી.
વિદ્યાર્થીદીઠ 1 શિક્ષક
વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 2 શિક્ષકોની સંખ્યા 2 શાળાના ઓરડા 3 ગામની વસ્તી 10 થી 12 મકાનો અને અંદાજે 110 લોકોની વસ્તી અહીંયા વસવાટ કરે છે સ્થાનિકો લોકોમાં ચાલતી ચર્ચા મુજબ ઓછી વસ્તી અને માત્ર બે જ વિદ્યારથીઓ હોવા છતા બે શિક્ષકો અહીં ફરજમાં છે. બીજી અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ પડે છે સરકાર પગારનું ભારણ ટાળવા માટે શિક્ષકોની ભરતીમાં પણ સમય વેડફી નાખે છે માળખાગત સુવિધા ત્રણ ઓરડા જેવી મોટી ઇમારત માત્ર બે બાળકો માટે ફાળવવી એ સંસાધનોનો બગાડી રહ્યા છે. ગોજાલી ગામની શાળાને નજીકમાં આવેલી મુખ્ય શાળા સાથે મર્જ કરી દે તો શિક્ષકોનો ઉપયોગ અન્ય જગ્યાએ થઇ શકે તેમ છે.



