गुजरात

લગ્નના 6 દિવસ બાદ યુવકને જાણ થઇ કે તેની પત્ની એક સંતાનની માતા છે ! | 6 days after the wedding the young man found out that his wife was the mother of a child



નાગપુરની યુવતી સાથે લગ્ન કરનાર વધુ એક યુવાન છેતરાયો : યુવકે તેની પત્ની અને નાગપુરના દલાલો સહિત કુલ 5 વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

રાજકોટ, : આલાપ ગ્રીન સિટીની બાજુમાં શ્રીનાથજી ડુપ્લેક્સમાં રહેતા અને કબુતરનાં ચણ વેંચવાનું કામ કરતા ભાવિક પંકજભાઇ ત્રિવેદી (ઉ.વ.  31)એ રૂ. 1.50 લાખ આપી નાગપુરની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના છ દિવસ બાદ જ આ યુવતી પરિણીત હોવાનો ભાંડો ફુટયો હતો. જેને કારણે તેણે યુવતી અને વચેટીયાઓ વિરૂદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે તેના માટે કન્યાની શોધખોળ ચાલુ હતી ત્યારે કાનાભાઇ છગનભાઇ ઠક્કરે તેની માતા પ્રતિભાબેનને નાગપુરના દલાલ પ્રકાશ જૈનનો મોબાઇલ નંબર આપ્યો હતો. એટલું જ નહીં એક યુવતીના ફોટા પણ મોકલ્યા હતા. તેને અને પરિવારજનોને આ યુવતી પસંદ આવી હતી. જેથી વાત આગળ વધારી હતી. 

ગત ડિસેમ્બર માસમાં યુવતી કે જેનું નામ લક્ષ્મી છે તેને રાજકોટ બોલાવી હતી. તેની સાથે દલાલ પ્રકાશ જૈન, બીજી દલાલ નાગપુરની ડોલી ઉર્ફે તન્વી માલી અને તેનો પતિ આવ્યા હતા. ઢેબર રોડ પરના ગેસ્ટહાઉસમાં લક્ષ્મીને જોયા બાદ તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. કાલાવડ તાલુકાનાં નાગપુર ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી પાસે લગ્નની નોંધણી કરાવી હતી. તે સાથે જ લક્ષ્મી અને તે પતિ-પત્ની બની ગયા હતા. 

ત્યાર પછી હિન્દુ રીવાજ મુજબ ગઇ તા. 26મી જાન્યુઆરીએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ માટે રૂ. 2 લાખ આપવાનું નક્કી થયું હતું. જેમાંથી રૂ. 1.50 લાખ તેના માતા પ્રતિભાબેને કાનાભાઇને આપ્યા હતા. જે રકમ પછીથી પ્રકાશ જૈનને અપાઇ હતી. 

આ દરમિયાન તેને પત્ની પર શંકા ગઇ હતી, કારણ કે તે મોબાઇલમાં મરાઠી ભાષામાં કોઇની સાથે વાત કરતી હતી, જેના રેકોર્ડીંગ પરથી લક્ષ્મી તેના કોઇ મળતીયા સાથે વાત કરતી હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં તેના ઘરમાંથી જે મળે તે લઇ ભાગી જવાની વાત થતી હતી.

પરિણામે તેના માતા પ્રતિભાબેને પોલીસમાં અરજી આપી હતી. પરંતુ લક્ષ્મી પોતે કુવારી હોવાનું વિશ્વાસથી કહેતી હોવાથી આખરે તેની વાત ઉપર વિશ્વાસ કરી ગઇ તા. 26મી જાન્યુઆરીએ હિન્દુ વિધીથી તેની સાથે લગ્ન કર્યા હતા. તેનાં છ દિવસ બાદ એટલે કે ગઇ તા.1 ફેબુ્રઆરીના રોજ રાત્રે તેની પત્ની લક્ષ્મીને પોલીસ સ્ટેશને બોલાવાઇ હતી. જ્યાં જતા તેનો પતિ અશ્વિન સુનીલ તિરપુડે અને પુત્રી ઉપરાંત ભાઇ અને બહેન-બનેવી નાગપુર પોલીસ સાથે આવ્યા હતા. 

તે સાથે જ લક્ષ્મી પરિણીત હોવાની જાણકારી મળતા અને તેની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થતા કાનાભાઇ અને પુનાના દલાલો ઉપરાંત લક્ષ્મી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.



Source link

Related Articles

Back to top button