गुजरात

AAPના ત્રણ નેતાઓ સામે રાજુ કરપડાએ નોંધાવી પોલીસ ફરિયાદ, જાણો કારણ | Raju Karpada viral audio clip Cyber ​​crime complaint against three AAP leaders



Raju Karpada Viral Audio Clip: ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામાં બાદ કરેલા આક્ષેપથી આપ પાર્ટીમાં ભૂચાલ મચ્યો છે. પૂર્વ આપ નેતા અને ખેડૂત આગેવાન રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓ સામે સુરેન્દ્રનગર સાઇબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરી છે. 

આપના ત્રણ નેતાઓ સામે રાજુ કરપડાએ નોંધાવી ફરિયાદ

મહત્વનું છે કે રાજુ કરપડાના રાજીનામા બાદ આપ પાર્ટીઓના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક ઓડિયો ક્લિપ સંભળાવી હતી. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ હતી. જે ઓડિયો ક્લિપમાં કથિત રીતે રાજુ કરપડા જેલ વાસ અને આગળની રણનીતિ અંગે ચર્ચા કરી કહી રહ્યા છે જે પણ થશે તે સવાયું થશે. આ બાદ આપ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે પહેલાથી રાજુ કરપડાનું ભાજપમાં જવાનું નક્કી હતું ફક્ત આમ આદમી પાર્ટીની છબીને ખરડાવાનો પ્રયાસ છે.

AI જનરેટેડ ઓડિયો હોવાનો દાવો

આ ઓડિયો ક્લિપ વાઈરલ થતાં રાજુ કરપડાએ સાઈબર ક્રાઇમમાં AI જનરેટેડ ઓડિયો હોવાનું કહી આપના ત્રણ નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં આપ નેતા કરણ બારોટ, સ્વયંમ સાલવી, વિપુલ ઠાકોરનો નામજોગ ઉલ્લેખ છે. ઉલ્લેખનીય છે કે રાજુ કરપડાએ રાજીનામા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં ગોપાલ ઈટાલિયા પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, ‘ગોપાલ ઈટાલિયાને જીતાડવા અમે રાત-દિવસ એક કર્યા છે અને તેમને જીતાડવા માટે અમે અમારા લોહી-પાણી રેડી દીધા છે અને તેઓ મને મળવા ચાર મહિનામાં એક પણ વખત આવ્યા નથી. તેમને પ્રવિણભાઈને જેલમાં મળવા બે મહિના પછી પ્રયાસ કર્યાં હતા. પરંતુ મળવા દેવામાં આવ્યા ન હતા, પરંતુ બે મહિના સુધી ક્યાં હતા? ન મળવા દીધા તો કોઈ વાંધો નથી પણ સારા વકીલને તો મોકલી શકે ને આ પ્રયાશ પણ તેઓએ કર્યા નથી.’

મનોજ સોરઠીયા અને ગોપાલ ઈટાલિયા ભાજપની બી ટીમ

રાજુ કરપડાએ દાવો કર્યો હતો કે, ‘આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ નથી, પરંતુ મનોજ સોરઠીયા અને ગોપાલ ઈટાલિયા ભાજપની બી ટિમ તરીકે કામ કરી રહ્યા છે તેવું હું ચોક્કસ કહીશ. ચૈતરભાઈ, હેમંતભાઈ કે ઈસુદાનભાઈ કોઈ દિવસ પાર્ટી માટે નેગેટિવ વિચાર કરતા નથી હમેશા તેઓ પાર્ટીને આગળ લાવવા પ્રયાસ કરે છે અને પાર્ટીના તમામ નેતાઓ આગેવાનો અને કાર્યકર્તા માટે સતત કામ કરે છે. હું અરવિંદ કેજરીવાલજીથી નજીક આવ્યો આ વાત ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયા જોઈ શકતા ન હતા અને ત્યારથી મને પછાડી દેવાના પ્રયત્ન કરતા હતા.’

AAP નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા

રાજુ કરપડાના રાજીનામા મુદ્દે AAP નેતા પ્રવીણ રામે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘જેલમાં પણ રાજુભાઈ પોતાના બે જૂના કેસોને લઈને ચિંતામાં હતા. રાજુભાઈને એક કેસમાં પાંચ વર્ષની સજા થઈ છે અને બીજો કેસ જજમેન્ટ પર હતો. બીજા કેસમાં તેમના પરિવારના ચારથી પાંચ સભ્યો પણ જોડાયેલા છે. રાજુભાઈને ચિંતા હતી કે બીજા કેસમાં પણ એમને સજા થશે તો તેઓ ચૂંટણી નહીં લડી શકે. ભાજપે આ બંને જુના કેસોને લઈને રાજુભાઈને દબાવવાનો અને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ બંને કેસોમાં જેલમાં ન જવું પડે અને ચૂંટણી લડવા પર કોઈ સમસ્યા ન આવે, તેને ધ્યાનમાં રાખીને રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું છે.’

આ પણ વાંચો: અમદાવાદના ચાણક્યપુરીમાં પ્રેમ પ્રકરણમાં બે રાઉન્ડ ફાયરિંગ, યુવક ઈજાગ્રસ્ત

શું હતો સમગ્ર મામલો?

12 ઑક્ટોબર, 2025ના રોજ બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહા પંચાયતનું આયોજન કરાયું હતું. પોલીસનો દાવો હતો કે, આ આયોજન મંજૂરી વિના કરાયું હતું. તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.  બોટાદના હડદડમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની ઘટનામાં પોલીસે કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધી હતી. આ પછી, અમદાવાદ કાર્યાલય ખાતે કડદાપ્રથા બંધ કરવાની અને ખેડૂતોને ન્યાય અપાવવાની માગ સાથે આમરણ ઉપવાસ પર બેસવાના હતા, ત્યારે પોલીસે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની 16 ઑક્ટોબર, 2025ના રોજ ધરપકડ કરી હતી. જે બાદ તેમણે જેલ થઈ હતી અને જામીન મળ્યા બાદ 11 ફેબ્રુઆરીના રોજ તેમણે આપ પાર્ટીના દરેક પદથી રાજીનામું આપી દીધું હતું. 



Source link

Related Articles

Back to top button