અણખોલ ગામ નજીક ડ્રેનેજની ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને કોન્ટ્રાક્ટરના મોત | Worker and contractor die after falling into drainage chamber near Ankhol village

![]()
વડોદરા,અણખોલ ગામ નજીકથી પસાર થતી ડ્રેનેજ લાઇન ચોકઅપ થતા તેની સફાઇ કામગીરી થઇ રહી હતી. આજે બપોરે એક વાગ્યે સફાઇ કામગીરી માટે અંદર ઉતરેલો શ્રમજીવી બેભાન થઇ જતા તેને બચાવવા ઉતરેલો કોન્ટ્રક્ટર પણ બેભાન થઇ ગયો હતો. બંનેેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓના મોત થયા છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેર નજીકના અણખોલ ગામ પાસેથી જતી ડ્રેનેજ લાઇન ચોકઅપ હોવાથી તેની કામગીરી માટે આજે સવારે કોન્ટ્રાક્ટર વિપુલ મનસુખભાઇ માંગરોલીયા (રહે. શિવમ રેસિડેન્સી, નિકોલ, અમદાવાદ) એક શ્રમજીવી અક્ષય શનાભાઇ ભાભોર, ઉ.વ.૨૩ (રહે. સરસોડા ગામ, તા. ગરબાડા, દાહોદ) સાથે સ્થળ પર કામગીરી કરવા માટે ગયા હતા. એક પછી એક ચેમ્બર ખોલીને તેઓ ચેક કરતા હતા. બપોરે એક વાગ્યે હિમાલયા પાર્ટી પ્લોટ પાસે આવેલી ચેમ્બર ચેક કરવા માટે શ્રમજીવીએ ચેમ્બરનું ઠાંકણું ખોલ્યું હતું.ત્યારબાદ તે અંદર પગ લટકાવીને ચેક કરતો હતો. તે દરમિયાન ગેસની અસર થતા શ્રમજીવી બેભાન થઇને અંદર પડયો હતો. તે જોઇને કોન્ટ્રાક્ટર વિપુલ તેને બચાવવા માટે અંદર ઉતર્યો હતો. પરંતુ, તેને પણ ગેસની અસર થતા તે પણ બેભાન થઇને અંદર પડયો હતો. બીજી તરફ જમવાનો સમય થવા છતાંય અક્ષય નહીં આવતા અન્ય શ્રમજીવીઓ તેને શોધવા નીકળ્યા હતા. ત્યારે તેઓને ઘટનાની જાણ થઇ હતી. શ્રમજીવીને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં અને કોન્ટ્રાક્ટરને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, બંનેના મોત થયા હતા. વરણામા પોલીસે બંનેના મૃતદેહનું પી.એમ. કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વુડાના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપુલ માંગરોલીયા કોન્ટ્રાક્ટર નહતો. આ કામનો કોન્ટ્રક્ટર જ્યંતિ સુપર કન્સટ્રક્શન કંપનીનો હતો. જેમાં વિપુલ માંગરોલીયા પ્રોજેક્ટ મેનેજર હતો.
નવી ડ્રેનેજ લાઇન માટે પુસીંગની કામગીરી ચાલતી હતી
વડોદરા,
આ સ્થળે ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી હતી. પુસીંગ કરીને પાઇપ લાઇન નાખવામાં આવતી હતી. જ ેસ્થળે દુર્ઘટના થઇ છે. તે ચેમ્બરનું કોઇ જ કામ નહી હોવાનું વુડાના સૂત્રોએ જણાવ્યું છે. તે ચેમ્બરમાં તેઓ શામાટે ગયા, તે તપાસનો વિષય છે. કુલ છ સ્થળે પુસીંગની કામગીરી કરવાની હતી. ચાર સ્થળે થઇ ગઇ છે.
.
જે.સી.બી.થી ચેમ્બર તોડી બંનેને બહાર કાઢવામાં આવ્યા
વડોદરા,
જે સ્થળે દુર્ઘટના થઇ ત્યાંથી અડધો કિલોમીટર દૂર અન્ય શ્રમજીવીઓ કામ કરી રહ્યા હતા. બપોરે અક્ષય જમવાનો ટાઇમ થવા છતાંય નહીં આવતા તેઓ શોધવા નીકળ્યા હતા. તે દરમિયાન આ સ્થળે ચેમ્બરનું ઢાંકણુ ખુલ્લુ જણાતા તેઓએ અંદર જોયું તો અક્ષય અને વિપુલ બંને અંદર દેખાયા હતા. ચેમ્બરમાં ગેસની અસર હોવાથી તેઓએ જે.સી.બી. મગાવી ચેમ્બર તોડી હતી અને ત્યારબાદ બંનેને બહાર કાઢી સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.


