गुजरात

મહેસૂલ વસૂલવાની સત્તા ફરીથી રાજ્યના પંચાયત તલાટીઓના શિરે | The power to collect revenue is again in the hands of the Talatis



વડોદરા, તા.9 રાજ્યભરમાં મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તારમાં મહેસૂલની વસૂલાતની સત્તા તલાટીઓ પાસેથી આંચકી સિટિ સર્વે કચેરીઓને સોંપવામાં આવી હતી પરંતુ આ સત્તા ફરીથી સાત વર્ષે પંચાયત તલાટીઓને સોંપવાનો નિર્ણય સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામક દ્વારા લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી-૨૦૧૮માં ગેઝેટમાં પ્રસિધ્ધ થયેલા જાહેરનામા મુજબ મહેસૂલ ઉઘરાવવાની સત્તા તલાટીઓ પાસે હતી તે સત્તા તેઓ પાસેથી લઇને સિટિ સર્વે કચેરીના મેન્ટેનન્સ સર્વેયરોને સોંપવામાં આવી હતી. મેન્ટેનન્સ સર્વેયરોને મહેસૂલ ઉઘરાવવાની સત્તા અપાતા જ શરૃઆતથી જ વિરોધ વંટોળ શરૃ થયો હતો. પ્રોપર્ટીકાર્ડ બનાવવા ઉપરાંત માપણી સહિતની કામગીરી તેમજ ઓછો સ્ટાફ હોવાથી કામના બોજના કારણે મહેસૂલની ઉઘરાણી મુશ્કેલ બનતી હતી.

આ અંગે ઉચ્ચ કક્ષાએ સિટિ સર્વે કર્મચારીઓ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી. દરમિયાન તા.૫ ફેબુ્રઆરીના રોજ સેટલમેન્ટ કમિશનરે એક પરિપત્ર બહાર પાડી તમામ જિલ્લા કલેકટરો તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓને મોકલવામાં આવ્યો હતો. આ નવા પરિપત્રના નિયમો મુજબ હવે મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તારોમાં પરિવર્તનીય વિસ્તાર સિવાયના અને સિટિ સર્વે સહિતના તમામ વિસ્તારોમાં બિનખેતીની ગામ નમૂના નંબર-૨ની વસૂલાત પહેલાની જેમ જ પંચાયત વિભાગ દ્વારા એટલે કે તલાટીઓ દ્વારા કરવાની રહેશે.

આ અંગે સૂત્રોએ જણાવ્યું  હતું કે અગાઉ જ્યારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે જ સિટિ સર્વે કચેરીઓએ માત્ર પરિવર્તનીય વિસ્તાર સ્પષ્ટ લખ્યુ હતું પરંતુ તેનો અર્થ અલગ થતા તલાટીઓ દ્વારા વસૂલાતી મહેસૂલની રકમ સિટિ સર્વે કચેરીઓના મેન્ટનન્સ સર્વેયરોના માથે નાંખી દેવામાં આવી હતી.

સૂચિત સોસાયટીઓનું મહેસૂલ વસૂલવાની સત્તા સિટિ સર્વે કચેરી પાસે

મહેસૂલ વસૂલવાની સત્તા કોના માથે તે અંગે છેલ્લા સાત વર્ષથી વિવાદ ચાલતો હતો. અગાઉ જાહેરનામા મુજબ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તારોમાં પરિવર્તનીય વિસ્તાર એટલે કે સૂચિત સોસાયટીઓની મિલકતોનું મહેસૂલ વસૂલવા માટેની સત્તા સિટિ સર્વે કચેરીઓને સોંપવામાં આવી હતી પરંતુ તેનો અર્થ અલગ કરીને તમામ મહેસૂલ વસૂલવાની કામગીરી સિટિ સર્વે કચેરીઓના માથે નાંખી દેવાઇ હતી જેમાં સુધારો કરી નવો પરિપત્ર બહાર પાડવાની ફરજ પડી છે. હવે માત્ર સૂચિત સોસાયટીઓનું જ મહેસૂલ સિટિ સર્વે કચેરીઓ કરશે.

મહેસૂલ ભરવા માટે અરજદારોને હવે સિટિ સર્વે અને તલાટી ઓફિસના ધક્કા

પરિવર્તનીય વિસ્તારો સિવાયના વિસ્તારોના મિલકતોના દસ્તાવેજ બાદ તેનું પ્રોપર્ટીકાર્ડમાં નામ ઉમેરવા જ્યારે સિટિ સર્વે કચેરીઓમાં જવાનું થાય ત્યારે સૌપ્રથમ મહેસૂલની રકમની ઉઘરાણી થાય છે. જેથી મિલકતના માલિકે તલાટી ઓફિસે જવાનું અને ફરીથી સિટિ સર્વે કચેરીમાં જવાનું થાય છે. હાલની સિસ્ટમ મુજબ એક જ કચેરીમાં મહેસૂલની વસૂલાત તેમજ પ્રોપર્ટીકાર્ડનું કામ થતું હતું પરંતુ હવે ફરીથી અરજદારોએ એક કચેરીથી બીજી કચેરીના ધક્કા ખાવાનું શરૃ થઇ જશે.



Source link

Related Articles

Back to top button