गुजरात

વિક્રમ ઠાકોરે સમાજ સામે બાંયો ચઢાવી, કહ્યું- ડીજે બંધનો નિર્ણય ખોટો, કોઈ બંધ કરાવવા આવે તો મને ફોન કરજો | Vikram Thakor Opposes DJ Ban Says “Decision Is Wrong Call Me If Anyone Stops It”



Vikram Thakor About DJ: હાલમાં જ ઠાકોર સમાજે ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણયનું કારણ આપતા એવું પણ કહેવાયું હતું કે, ડીજે વગાડીને દારૂ પણ પીવાય છે અને પછી ઝઘડા પણ થાય છે. આ અંગે કલાકાર વિક્રમ ઠાકોરે જ સમાજ સામે બાંયો ચઢાવી છે. તેણે કહ્યું છે કે, ‘જો ડીજે વગાડવાનું બંધ કરાવશો તો અનેક કલાકારો બેરોજગાર થઈ જશે. અમારી બાજુ તો ડીજે બંધ નહીં જ થાય. ડીજે બંધ કરાવવાનો નિર્ણય જ છે. જો કોઈ બંધ કરાવવા આવે તો મને ફોન કરજો. ડીજેથી દારૂ પીવાય અને ઝઘડા થાય એ વાત ખોટી છે.’

જાણો શું છે મામલો

બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા થોડા દિવસ પહેલા જ એક મહાસંમેલન કરીને સમાજના લોકો માટે એક બંધારણ બનવાયું હતું જેમાં દીકરીના ભણતરથી લઈને, તમાકુ અને અન્ય વ્યસન મુક્તિ માટે પણ નિયમો બનાવાયા હતા અને સાથે લગ્ન અને મરણ પ્રસંગે સમાજમાં થતાં ખોટ ખર્ચને પણ ટાળવા માટે અમુક નિયમો બનાવ્યા હતા. જેમાં પણ લગ્ન માટે ખાસ નિયમો હતા કે લગ્નમાં જાન કે વરઘોડામાં મોટા DJ સાથે લઈ જવાશે નહીં. આ નિયમને નેવે મૂકીને  ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર DJ લઈને લગ્નનો વરઘોડો લઈને નીકળ્યા હતા અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.

આ પણ વાંચો: ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન: અડધી રાત્રે ઉમટ્યું માનવ મહેરામણ, શિક્ષણ અને વ્યસનમુક્તિનો હુંકાર

આ મામલે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સામે કડક કાર્યવાહી કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. સમાજની બેઠકમાં બંનેને એક વર્ષ માટે સમાજ બહાર મુકવાની સજા ફટકારવામાં આવી હતી. સમાજના આગેવાનોના જણાવ્યાનુસાર, ગબ્બર અને અર્જુન ઠાકોર દ્વારા વારંવાર સમાજની પરંપરા, નિયમો અને શિસ્તને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ મુદ્દાને ગંભીરતાથી લઈને સમાજે સામાજિક, આર્થિક તેમજ ધંધાકીય તમામ બાબતોમાં બંનેને કોઈપણ પ્રકારનો સાથ સહકાર ન આપવા નિર્ણય કર્યો છે. આ મામલે ગુજરાતી ફિલ્મના અભિનેતા વિક્રમ ઠાકોર નાત બહાર મુકાયેલા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના સમર્થન આવ્યા છે. 

સમાજ સામે વિક્રમ ઠાકોરે બાંયો ચઢાવી

એક કાર્યક્રમમાં વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે, ‘ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર નાત બહાર મુકી દીધા છે. તેમણે કંઇક ડીજે કર્યું હતું. જ્યારે ઠાકોર સમાજનું સેક્ટર 11માં સંમેલન હતું ત્યારે મે ગેનીબેનને વિનંતી કરી હતી, ત્યારે ગેનીબેન એવું કહેતા હતા કે ભાઇ મે બંધારણ નથી ઘડ્યું, પણ બોલ્યા તો હતા તમે ને? પેલા આગળ તો તમે આવ્યા હતા ને? તમે બોલ્યા હતા ને? તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું હશે. બરાબર છે, બંધારણ કર્યું. ઠાકોર સમાજમાં ઘણાં બધા એવા કુરિવાજો હતા તે દૂર થશે. ઠાકોર સમાજના બધા આગેવાનોએ જે બહુ સારું કામ કર્યું છે.

વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે ‘પરંતુ તેના લીધા ડીજેના જે કલાકારો હતા તે બિચારા ઘરે બેસી ગયા છે. જે આગેવાનોએ બંધારણ કર્યું છે એ લોકોને ખબર નથી કે ડીજે એટલે શું. તેઓ એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કૂદશે, દારૂ પીશે અને ઝઘડા થશે. એવું જરૂરી નથી, ઢોલ વગાડશો તોય દારૂ પીનારો પીવાનો જ છે. ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે. તો, ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે, એ વસ્તુ ખોટી છે.’

ડીજે વગાડવા અંગે વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે,  ‘જો ડીજે વગાડવાનું બંધ કરાવશો તો અનેક કલાકારો બેરોજગાર થઈ જશે. અમારી બાજુ તો ડીજે બંધ નહીં જ થાય. ડીજે બંધ કરાવવાનો નિર્ણય જ છે. જો કોઈ બંધ કરાવવા આવે તો મને ફોન કરજો.’

થોડા સમય પહેલા ઠાકોર સમાજે લાગુ કરેલા નવા નિયમો 

સગાઈમાં મર્યાદિત સંખ્યા

સગાઈના પ્રસંગમાં વર અને કન્યા પક્ષ તરફથી કુલ મળીને માત્ર 21 વ્યક્તિઓ જ હાજર રહી શકશે.

સગાઈની ભેટ

સગાઈમાં ભેટ તરીકે માત્ર 1 રૂપિયો રોકડો, નાળિયેર અને એક જોડી કપડાં જ આપવાના રહેશે.

લગ્નનો સમયગાળો

આખા વર્ષમાં માત્ર બે માસ (મહા અને વૈશાખ સુદ 1થી 15) દરમિયાન જ લગ્નપ્રસંગો યોજી શકાશે.

જાનની મર્યાદા

લગ્નમાં જાનની સંખ્યા વધુમાં વધુ 100 વ્યક્તિઓ સુધી જ સીમિત રાખવાની રહેશે.

વાહનોની સંખ્યા

જાનમાં મહત્તમ 11 વાહનો જ લઈ જઈ શકાશે.

બાળકોની ગણતરી

જાનની સંખ્યા ગણતી વખતે 10 વર્ષથી ઉપરના તમામ બાળકોને પણ પુખ્ત વ્યક્તિ તરીકે જ ગણવામાં આવશે.

ગાડીઓ પર પ્રતિબંધ

જાનમાં સનરૂફવાળી ગાડીઓ લાવવી કે ગાડીઓની લાંબી કતારો કરી રસ્તો રોકવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

સંગીતની મર્યાદા

પ્રસંગમાં DJ કે મોટા લાઉડસ્પીકરના બદલે માત્ર 2 ઢોલ અને શરણાઈ વગાડવાની જ પરવાનગી રહેશે.

જૂની પ્રથાઓની નાબૂદી

લગ્ન લખવાની પ્રથા, ઢૂંઢ અને ઓઢમણા જેવી જૂની અને ખર્ચાળ પ્રથાઓ સદંતર બંધ કરવામાં આવશે.

હલદી રસમ પર નિયંત્રણ

હલ્દી રસમ (પીઠી) અને તેવા અન્ય ભપકાદાર પ્રસંગો કરવા પર પ્રતિબંધ રહેશે.

જમણવારનું મેનુ

જમણવારમાં વાનગીઓની સંખ્યા મર્યાદિત રાખવી અને મીઠાઈમાં માત્ર એક જ પ્રકારની મીઠાઈ પીરસવી.

મામેરાના નિયમો

મામેરામાં મોંઘા દાગીના લાવવાને બદલે 11,000થી 1,51,000 રૂપિયા સુધીનું રોકડ ઓઢામણું કરવું.

મરણપ્રસંગની સાદગી

મરણપ્રસંગ પછીના ભોજનમાં માત્ર ખીચડી અને કઢી જ બનાવવાની મર્યાદા રાખવી.

જન્મદિવસની ઉજવણી

જન્મદિવસ પાછળ થતો બિનજરૂરી ખર્ચ રોકી, તે રકમ શૈક્ષણિક સંસ્થા અથવા લાઇબ્રેરીમાં દાન કરવી.

નશાબંધી

કોઈપણ સામાજિક કે કૌટુંબિક પ્રસંગમાં દારૂ કે અન્ય કોઈપણ પ્રકારના નશાકારક પદાર્થોના ઉપયોગ પર સખત પ્રતિબંધ રહેશે.





Source link

Related Articles

Back to top button