દબાણ હટાવવાની જવાબદારીમાંથી છટકવા સરમુખત્યાર જેવો નિર્ણય | A dictatorial decision to evade responsibility for relieving pressure

![]()
મેળામાં દુર્ઘટના થાય તો જવાબદારી ન આવે તેવો પ્રયાસ : મેળામાં ઓછી સંખ્યામાં લોકો આવે અને વિસ્તાર તેની મૂળ સ્થિતિને બદલે લાંબો કરી દેવાથી અધિકારી સલામત થઈ જાય
જૂનાગઢ, : ભવનાથમાં મેળા માટે જગ્યા ટુંકી પડતી હોવાથી મેળામાં ભાવિકોની સંખ્યા ઓછી થાય તેવા બદઈરાદાથી તંત્ર દ્વારા તઘલખી નિર્યણો લેવામાં આવતા હોવાના આક્ષેપો સાથે ભાવિકો વસવસો વ્યક્ત કરી રહ્યા છે કે ઊચ્ચ અધિકારીઓ જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓને ડર છે કે, માત્ર 50,000 ચોરસ ફૂટ જગ્યામાં ભીડના કારણે કંઈક થાય તો જવાબદારી આવે, આવું ન થાય તેના માટે છટકબારીના ભાગરૂપે આવા રસ્તાઓ શોધી મેળાનો માહોલ બગાડવાનો પ્રયત્ન થતો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
ભવનાથ વિસ્તારમાં મેળા માટે 57 એકર જમીન રિઝર્વ જાહેર કરવામાં આવી હતી. દર વખતે મેળાની જમીનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તંત્રએ અગાઉ માપણી કરાવી ત્યારે 57 એકર જમીનમાંથી 29 એકર જમીન પર દબાણ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. 27 એકર જમીનમાં રસ્તા, આશ્રમ, હોટલ, ધર્મશાળા, મકાન, અન્ય રહેણાંક અને ધંધાકીય આશ્રયનો સમાવેશ થાય છે. તેમાંથી અંદાજિત 50,000 ચોરસ મીટર જમીન જ ખુલ્લી છે. તંત્રએ દબાણવાળી જમીન ખુલ્લી કરાવવા પોતાની જવાબદારી નિભાવવાને બદલે મેળા માટે ક્યારેય ન લીધા હોય તેવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તંત્રના અધિકારીઓને ડર છે કે, ઓછી જગ્યામાં મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર થાય અને કંઈક દુર્ઘટના બને તો તેની જવાબદારી આવે, આવું ન થાય તે માટે મેળામાં જ ઓછી સંખ્યામાં લોકો આવે અને મેળાનો વિસ્તાર તેની મૂળ સ્થિતિને બદલે લાંબો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધી લાખોની સંખ્યામાં યાત્રિકો મેળામાં દર્શન માટે આવે છે. આ વખતે સૌપ્રથમવાર મેળામાં વાહન પ્રવેશ પર પ્રતિબંધ મુકતા વડીલો, બાળકો મેળાથી અલિપ્ત રહેવા મજબુર બનવું પડશે. જો તંત્રમાં નૈતિકતા હોય તો આવા નિર્ણય લેવાને બદલે દબાણ ખુલ્લું કરાવવાની હિંમત દાખવવી જોઈએ પરંતુ ત્યાં હિંમત ચાલતી નથી એટલે બીચારા ભાવિકો માટે સરમુખત્યાર જેવું વલણ અપનાવી ધરારીથી નિર્ણયની અમલવારી કરાવવા ચાલતા પ્રયાસોનો ભારોભાર રોષ છે. શહેરના પ્રબુધ્ધ નાગરિકો તથા મેળા સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે, દર વખતે મેળા સમયે કંઈપણ ત્રુટી હોય તો તંત્રનું ધ્યાન દોરવામાં આવે તો તે વ્યક્તિ વિરોધી વ્યક્તિ છે તેવો ચિતરી દેવામાં આવે છે.
જો સાચી વાત કહો તો તેને વિરોધ ગણાય છે તેવો સંતોનો વસવસો
વાહન પર પ્રતિબંધના નિર્ણય મુદ્દે અમુક સાધુ-સંતોને બાદ કરતા મોટાભાગના સાધુ-સંતોનો પણ અંદરખાને વિરોધ છે પરંતુ સાધુ-સંતોએ નામ નહી આપવાની શરતે જણાવ્યું હતું કે, જો આ તંત્રમાં કે સરકારમાં સાચી વાત રજુ કરો તો તેને વિરોધ સમજવામાં આવે છે. તંત્રના આવા નિર્ણયથી આશ્રમના સેવકો તથા અન્નક્ષેત્રના સેવાભાવી લોકોને મેળા દરમ્યાન આવવું હોય તો કેવી રીતે આવવું તે એક સવાલ છે. અમુક સંતોને બાદ કરતા મોટાભાગના સંતોના સેવકો શિવરાત્રીનો મેળો કરવા એકાદ-બે દિવસ અચુક આવે જ છે. હવે તેને શું કરવું તે અંગે સંતો પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે પણ આ સમયમાં સંતો પણ અવાજ નહી ઉઠાવવા મજબુર બન્યા છે.



