गुजरात

વેરાવળના મુરલીધર કોમ્પ્લેકસમાં ભીષણ આગથી 40 દુકાનો ખાખ | 40 shops gutted in massive fire at Muralidhar Complex in Veraval



ફાયર NOC ન હોવાનું સામે આવ્યું : ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ડિઝલ પંપ સર્વિસની દુકાનમાં લાગેલી આગે જોતજોતામાં 4 માળનાં બિલ્ડિંગને ભરડામાં લઈ લીધું

વેરાવળ, : વેરાવળમાં જૂનાગઢ બાયપાસ પર આવેલા 4 માળના મુરલીધર કોમ્પ્લેકસમાં આજે સવારે લાગેલી ભીષણ આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કોમ્પ્લેકસની અંદાજે 40 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ જેના કારણે સ્થાનિક વેપારીઓને મોટું નુકસાન થયું છે. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

વિગત મુજબ, આજે સવારે અંદાજે 11 વાગ્યાની આસપાસ કોમ્પ્લેકસના ગ્રાઉન્ડ ફલોર પર આવેલી એક ડીઝલ પંપ સર્વિસની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આ આગે આખા ચાર માળના કોમ્પ્લેકસને પોતાની લપેટમાં લઈ લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે કોમ્પ્લેકસમાં પાર્ક કરેલી 4 મોટર સાયકલ અને 1 કાર પણ બળીને રાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ બે વાહનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. આગની ગંભીરતાને જોતા આસપાસની ઈન્ડસ્ટ્રીઝમાંથી પણ મદદ લેવામાં આવી હતી. કુલ પાંચ ફાયર ફાઈટરની ટીમોએ સતત કલાક સુધી પાણીનો મારો ચલાવીને મહામુસીબને આગ પર કાબૂ મેળવ્યો હતો. 

આ ઘટનામાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે મુરલીધર કોમ્પ્લેકસ પાસે ફાયર એનઓસી નહોતું. ફાયર ઓફિસર રવિરાજસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર, અગાઉ પણ આ બાબતે કોમ્પ્લેકસને નોટિસ આપવામાં આવી હતી. આગની ઘટના બાદ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. કલેક્ટરે આ મામલે ગંભીર નોંધ લેતા નગરપાલિકા અને ફાયર વિભાગ પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે.  રિપોર્ટ આવ્યા બાદ બેદરકારી દાખવનાર જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળે છે.



Source link

Related Articles

Back to top button