વડોદરાના વોર્ડ નં. 14માં ડ્રેનેજની સમસ્યાનો 24 કલાકમાં ઉકેલ નહીં આવે તો આત્મ વિલોપનની ચીમકી | Threat of suicide if drainage problem in Ward No 14 of Vadodara is not resolved within 24 hours

![]()
Vadodara Corporation : વડોદરાના રાવપુરા વિધાનસભાના વોર્ડ નં. 14, વાડી વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ડ્રેનેજની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા વૃદ્ધે આ સમસ્યા 24 કલાક બાદ ખંડેરાવ માર્કેટ અથવા વોર્ડ ઓફિસે જઈને આત્મવિલોપનની ચિમકી આપતા તંત્ર દોડતું થયું હતું.
ઉલ્લેખનીય છે કે રાવપુરા વિધાનસભાના ઇલેક્શન વોર્ડ નંબર 14માં છેલ્લા 15 દિવસથી ડ્રેનેજ સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ડ્રેનેજના ગંદા પાણી તમામ આસપાસ ફરી વળ્યા છે. બારે બદબૂના કારણે સ્થાનિકોને પોતાના ઘરમાં રહેવું પણ દુષ્કર બન્યું છે. ડ્રેનેજના ગંદા પાણીના કારણે સ્થાનિકોને રોગચાળાની ભીતી શતાવી રહી છે ત્યારે વાડી વિસ્તારના મારૂ ફળિયામાં રહેતા વૃદ્ધ ભરતભાઈએ પાલિકા તંત્રને આડે હાથ લઈને ખરી ખોટી સંભળાવી હતી.
વોર્ડ ઓફિસ અને પાલિકા કચેરીએ કરેલી ફરિયાદના અનુસંધાનમાં સફાઈ કામગીરી માટે કર્મચારીઓ આવ્યા હતા પરંતુ ડ્રેનેજ લાઈનમાં નાખેલા સળિયા પણ તૂટી ગયા હતા. ત્યારબાદ વોર્ડ ઓફિસે રૂબરૂ આવવા જે તે કર્મચારીઓએ જણાવ્યું હતું. જ્યારે વોર્ડ ઓફિસે ભરતભાઈ રૂબરૂ ગયા ત્યારે તેમને ઓફિસર હાજર નથી એવો જવાબ આપતા વૃદ્ધ ઉશ્કેરાયા હતા. પરિણામે તેમણે કામ તમારે કરવાનું છે કે ઓફિસરે કેવો પ્રશ્ન કરીને ચીમકી આપી હતી કે જો આ ડ્રેનેજ સમસ્યાનું આગામી 24 કલાકમાં નિરાકરણ નહીં આવે તો વડી કચેરી ખંડેરાવ માર્કેટ કે પછી વોર્ડ નં. 14ની ઓફિસ બહાર જઈને પોતે આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારતા તંત્ર ધંધે લાગી ગયું હતું.


