गुजरात

ઉદ્યોગો માટે એકાદ- બે જાહેરાતને બાદ કરતા બજેટમાં કશું ખાસ નથી | nothing for industries in budget 2026



વડોદરાઃ એકાદ- બે જાહેરાતને બાદ કરતા આ બજેટમાં ઉદ્યોગો માટે કશું ખાસ નથી તેમ વડોદરાના ઔદ્યોગિક સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝના સભ્યે કેન્દ્રીય બજેટ બાદ કહ્યું હતું.

એફજીઆઈના સભ્યોએ જણાવ્યું હતું કે, વડોદરા અને મધ્ય ગુજરાતમાં મોટાભાગે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો છે.બજેટમાં એમએસએમઈ માટે ૧૦૦૦૦ કરોડના ફંડ અને ક્રેડિટ ગેરંટી સ્કીમમાં વધારાને બાદ કરવામાં આવે તો ઉદ્યોગો માટે કશું ખાસ નથી.કોર્પોરેટ ટેકસ રેટમાં પણ ઘટાડો કરાયો નથી.તરત જ ઉદ્યોગને લાભ થાય તેવી કોઈ જોગવાઈ આ બજેટમાં નજરે પડી નથી.એફજીઆઈએ  કેન્દ્રીય બજેટને ૧૦માંથી ૬.૫નો સ્કોર આપ્યો હતો.સભ્યોએ કહ્યું હતું કે,  વિદેશી રોકાણકારોએ શેર માર્કેટમાંથી બે લાખ કરોડ રુપિયાનું રોકાણ પાછું ખેંચ્યું છે.સરકાર કેપિટલ ગેઈન ટેક્સમાં ઘટાડો કરશે તેવી આશા પણ ઠગારી નિવડી છે.જેના કારણે નજીકના ભવિષ્યમાં વિદેશી રોકાણકારો શેર માર્કેટમાં પૈસા રોકે તેવી શક્યતા દેખાઈ રહી  નથી.

ડેટા સેન્ટરો માટેની જાહેરાતથી આઈટી સેકટરને વેગ મળશે

એફજીઆઈની મેનેજિંગ કમિટિના સભ્ય સંજીવ શાહે કહ્યું હતું કે, ભારતમાં કોઈ વિદેશી કંપની  ભારતીય કંપનીના સહયોગમાં ડેટા સેન્ટર સ્થાપિત કરે અને ભારતમાંથી બીજા દેશોમાં સર્વિસ પૂરી પાડે તો તેવી કંપનીઓને ૨૦૪૭ સુધી ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ છે.આ જાહેરાતથી આઈટી સેકટરને વેગ મળશે તેમજ આ સેકટરમાં નવી નોકરીઓનું પણ સર્જન થશે.જોકે તેની અસર જોવા મળતા સાત થી આઠ વર્ષ લાગી શકે છે.

કોઈ સીધી રાહત કે સબસિડી નહીં, સાધારણ બજેટ છે

નંદેસરી જીઆઈડીસી એસોસિએશનના પૂર્વ પ્રમુખ મોહન નાયરે કહ્યું હતું કે,બજેટમાં દરેક ક્ષેત્ર પર ધ્યાન અપાયું છે પણ કોઈ સીધી રાહત કે સબસિડી આપવામાં આવી નથી.ઉદ્યોગોની સાથે સાથે સામાન્ય માણસ માટે આ બજેટમાં કશું નથી.મારી દ્રષ્ટિએ આ બજેટ સાધારણ છે.

માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકાયો છે

કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝના મધ્ય ગુજરાતના પ્રમુખ ઋત્વિક પટેલે કહ્યું હતું કે, હાઈ સ્પીડ કોરિડોર જેવા પ્રોજેકટની જાહેરાતોથી માળખાકીય સુવિધાઓ વિકસાવવા પર બજેટમાં ભાર મૂકાયો છે.આ માટે બજેટમાં કેપિટલ એક્પેન્ડિચર માટે લગભગ ૧૨ લાખ કરોડ રુપિયાની જોગવાઈ કરાઈ છે.ટીસીએસ દરમાં ઘટાડાથી વિદેશી મુસાફરી સસ્તી બનશે.એમએટીને અંતિમ કર તરીકે ગણતરીમાં લેવાની જાહેરાતથી કોર્પોરેટ ટેક્સ સરળ બનશે.

૫૦૦૦ કરોડની જોગવાઈ વડોદરાને ફાયદો મળી શકે

વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલનું કહેવું હતું કે, આયાત -નિકાસના કાયદાઓને વધારે સરળ બનાવવાનું એલાન કરાયું છે.સેમિકન્ડકટર સેકટર માટે ૪૦૦૦૦ કરોડની ફાળવણી કરાઈ છે.ટાયર-૨ અને ટાયર-૩ શહેરોના વિકાસ માટે ૫૦૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે.જેનો ફાયદો વડોદરાને પણ મળી શકે છે.બજેટ ભારતમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યું છે.

અલગ- અલગ ડેડલાઈનના કારણે પોર્ટલ ક્રેશ નહીં થાય

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાના વડોદરા ચેપ્ટરના પ્રમુખ ધુ્રવન પરીખના કહેવા પ્રમાણે જેવી અપેક્ષા હતી તેવું જ બજેટ છે.ટેકસમાં રાહતની અપેક્ષા કોઈએ રાખી નહોતી.ટેકસને લઈને એક સારી જાહેરાત કરાઈ છે.જેમાં વ્યક્તિગત ટેક્સ ફાઈલ કરનારાઓ માટે ૩૧ જુલાઈ અને જેમને ઓડિટ કરાવવાનું હોય છે તેમના માટે ૩૦ સપ્ટેમ્બરની સમય મર્યાદા કરાઈ છે.જેનાથી ઈનકમ ટેક્સ વિભાગના પોર્ટલ પર લોડ ઓછો થશે અને પોર્ટલ ક્રેશ થવાની સમસ્યા નહીં આવે.

એમએસએમઈને કોર્પોરેટ મિત્રથી માર્ગદર્શન મળશે

સરકારે બાયોફાર્મા શક્તિ યોજનાની જાહેરાત કરી છે.જેના માટે ૧૦૦૦૦ કરોડની ફાળવણી કરી છે.સાથે સાથે સાત હાઈ સ્પીડ રેલ કોરિડોર અને નવા ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર બનવાથી ઉદ્યોગોને ફાયદો થશે.એમએસએમઈને માર્ગદર્શન મળે તે માટે ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા જેવી સંસ્થાઓની મદદથી કોર્પોરેટ મિત્રની નિમણૂંક કરાશે.આમ આ બજેટ દેશને લાંબા ગાળે સ્થિરતા આપશે.

ખેતી અને ખેડૂતો માટે ૧.૬૨ લાખ કરોડ ફાળવાયા

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના રુરલ સ્ટડીઝ વિભાગના અધ્યાપક ડો.ભૂમિત શાહે કહ્યું હતું કે, ગ્રામીણ વિકાસનું બજેટ આઠ ટકા વધારો કરીને ૧.૯૦ લાખ કરોડ રુપિયા કરાયું છે.ખેતી અને ખેડૂત કલ્યાણ મંત્રાલય માટે ૧.૬૨ લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે.જે ગત વર્ષ કરતા સાત ટકા વધારે છે.જેની પાછળનો ઉદ્દેશ ખેડૂતોની આવક વધારવાનો છે.આ રકમમાંથી ૧૧ કરોડ ખેડૂતોને સીધી નાણાકીય સહાય, ચાર કરોડ ખેડૂતોને વીમો આપવાની યોજનાનો ખર્ચ થશે.ખેડૂતોને એઆઈની મદદથી સલાહ આપવા માટેનો પ્રોજેકટ લોન્ચ કરાશે.



Source link

Related Articles

Back to top button