પોર ગામ સર્વિસ રોડ પર બે બાઇક સામસામે અથડાતા બે યુવકોએ જીવ ગુમાવ્યો | Two youths lost their lives when two bikes collided on the Por Gam service road

![]()
વડોદરા,પોર ગામ સર્વિસ રોડ પર ગત મોડીરાત્રે બે બાઇક સામસામે અથડાતા બે યુવકોના મોત થયા છે. જ્યારે જાંબુવા પાસે કારની ટક્કર વાગતા બાઇકસવાર યુવકનું મોત થયું છે.
વડસર ગામમાં રહેતા ૪૭ વર્ષના મુકેશ મણીલાલ ચૌહાણ અને તેમના મિત્ર રજનીભાઇ હર્ષદભાઇ પટેલ (રહે.સંસ્કૃતિ રેસિડેન્સી, વડસર રોડ) બાઇક લઇને પોર જી.આઇ.ડી.સી.માં કામ માટે ગયા હતા. ત્યાંથી તેઓ પરત આવતા હતા ત્યારે જાંબુવા પાસે એક કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બંને મિત્રો ફંગોળાઇને પડયા હતા. મુકેશ ચૌહાણ રોડની બાજુમાં ખાડામાં પડતા માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે રજનીભાઇને ચહેરા, પેટ તથા શરીરના અન્ય ભાગે ઇજાઓ પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. કપુરાઇ પોલીસે આ અંગે કારચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
વાસદથી વડોદરા આવતા રોડ પર જી.એસ.એફ.સી. પાસે આજે વહેલી સવારે ૩૫ વર્ષના અજાણ્યા યુવાનને ટક્કર મારીને વાહનચાલક ભાગી ગયો હતો. યુવાનનું મોત થતા છાણી પોલીસે ગુનો દાખલ કરી યુવાનની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
પોર નવી નગરીમાં રહેતા ૩૮ વર્ષનો રાકેશ ચીમનભાઇ પાટણવાડિયા ગઇકાલે રાત્રેપોણા બાર વાાગ્યે પોર હોટલથી ઘરે જવા માટે રોંગ સાઇડ બાઇક લઇને નીકળ્યો હતો. તે દરમિયાન પોર ગામેથી કરજણ તરફ જતી બાઇક સાથે અકસ્માત થયો હતો. રાકેશને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે પોર સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનું મોત થયું હતું. જ્યારે અન્ય બાઇક પર જતા બાઇકચાલક રોહિત જગદીશભાઇ રાઠોડિયા, ઉં.વ.૨૧ (રહે. માંગલેજ નવી નગરી) તથા બાઇકની પાછળ બેઠેલા કરણ રણજીતભાઇ રાઠોડિયાને પણ ઇજા થતા તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રોહિત રાઠોડિયાનું મોત થયું હતું. જ્યારે કરણ રાઠોડિયાને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. વરણામા પોલીસે આ અંગે રાકેશ પાટણવાડિયા સામે ગુનો દાખલ કર્યો છે.
ભાલીયાપુરા ગામે
ખેતરમાં રમતા દોઢ વર્ષના બાળકને જીપચાલકે કચડી નાખ્યો
માતાજીના ભંડારામાં બાળકને તેના દાદા લઇને ગયા હતા ઃ જીપચાલક સામે ગુનો દાખલ
વડોદરા,
શહેર નજીકના ભાલીયાપુરા ગામે વાવનગરીમાં રહેતા ધરમસિંહ શ્રવણભાઇ ઠાકરડા મકરપુરા જી.આઇ.ડી.સી.માં ફેબ્રિકેશનની કંપનીમાં નોકરી કરે છે. ગઇકાલે તેમના ગામમાં માતાજીનો ભંડારો હતો. પરંતુ, ધરમસિંહને કામ પર જવાનું હોઇ તેઓ ભંડારામાં ગયા નહતા. ધરમસિંહના પિતા દોઢ વર્ષના પૌત્ર પ્રણવને લઇને તેમના ખેતરમાં માતાજીના ભંડારામાં ગયા હતા. દોઢ વર્ષનો પ્રણવ ખેતરમાં રમતો હતો. તે દરમિયાન એક જીપ ચાલકે બાળકને અડફેટે લેતા ટાયર બાળકના શરીર પર ફરી વળ્યા હતા. દોઢ વર્ષના બાળકને છાતી તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે જીપચાલક ભાવેશ રાજુભાઇ ઠાકરડા (રહે. ભાલીયાપુરા ગામ) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



