શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થતાં કાલપુર ગાદી દ્વારા ઉજવાશે સમૈયૌ, 200 વિઘામાં હેરિટેજ થીમવાળી બનાવી નગર | Kalupur Gadi to Celebrate 200 Years of Shikshapatri with Grand Heritage Festival in Adalaj

200 Years of Shikshapatri: વિશ્વના પહેલા સ્વામિનારાયણ મંદિર, કાલુપુર ગાદી દ્વારા ભગવાન સ્વામિનારાયણ લખાયેલી શિક્ષાપત્રીના 200 વર્ષ પૂરા થતા સમૈયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ આગામી 23મીથી 27મી જાન્યુઆરી 2026 દરમિયાન અડાલજ સ્થિત ત્રિમંદિરની બાજુમાં આવેલા ગ્રાઉન્ડમાં યોજાશે. અંદાજે 200 વીઘા વિસ્તારમાં તૈયાર કરવામાં આવી રહેલા આ નગરીમાં દેશ-વિદેશમાંથી 15 લાખથી વધુ હરિભક્તો ઉમટી પડશે. મહત્ત્વનું છે કે, આ મહોત્સવમાં સ્વામિનારાયણ ભગવાન દ્વારા લખાયેલી ઓરિજિનલ શિક્ષાપત્રી ભક્તોના દર્શન માટે મૂકવામાં આવશે. આ ઉપરાંત પ્રદર્શન, બાળ નગરી અને AI બેઝથી શિક્ષાપત્રી એક્ઝિબેશન સેન્ટર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.

અમદાવાદ હેરિટેજ સિટી અને કાલુપુર મંદિરની થીમનું પ્રવેશ દ્વાર
આ સમગ્ર મહોત્સવને અમદાવાદની હેરિટેજ સિટી અને કાલુપુર મંદિરની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. મહોત્સવનો મુખ્ય પ્રવેશદ્વાર 126 ફૂટ લાંબો અને 35 ફૂટ ઊંચો છે, જે અમદાવાદના ઐતિહાસિક ‘ત્રણ દરવાજા’ અને કાલુપુર મંદિરના સ્થાપત્ય રજૂ કરે છે. અહીં કેમ્પસમાં ખાણી-પીણી માટે તૈયાર કરવામાં આવેલું ફૂડ કોર્ટ પણ અમદાવાદના જાણીતા માણેકચોકની શૈલીમાં બનાવવામાં આવ્યું છે.

AI ટેકનોલોજીવાળા પ્રદર્શન હોલ
આ મહોત્સવમાં યુવાઓને આકર્ષવા માટે AI અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રણ વિશાળ જર્મન હેંગર ડોમમાં ભગવાન સ્વામિનારાયણના જન્મસ્થળ છપૈયાથી લોજ સુધીની યાત્રા, તેમનું વનવિચરણ અને શિક્ષાપત્રીના લેખન વિશેની ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવશે. જેમાં 12 જેટલા પ્રોજેક્ટર્સ દ્વારા હાઈ-ટેક ડિસ્પ્લે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ રજૂ કરાશે.

કાષ્ઠમાંથી બનાવી યજ્ઞશાળા
ધાર્મિક પરંપરાઓને જાળવી રાખવા માટે મહોત્સવમાં એક વિશાળ યજ્ઞશાળા બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ યજ્ઞશાળા સંપૂર્ણપણે કાષ્ઠમાંથી બનાવવામાં આવી છે, જેમાં ક્યાંય લોખંડની ખીલી કે વાઈરનો ઉપયોગ થયો નથી. અહીં 108 કુંડી મહાવિષ્ણુયાગ યોજાશે, જેમાં જગન્નાથપુરી પાઠશાળાના વૈદિક બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવશે.

5000 હરિભક્તો 12 કલાક અખંડ ધૂન કરશે
ભક્તિમય વાતાવરણ જાળવવા માટે 5000 હરિભક્તો દ્વારા 12 કલાક અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ ‘મંત્ર કુટીર’માં લાખોની સંખ્યામાં હરિભક્તો દ્વારા લખાયેલી મંત્રપોથીઓ પધરાવવામાં આવશે. ‘વેદ કુટીર’માં ચાર વેદોનું સતત ગાન કરવામાં આવશે, જ્યાં વ્યાસ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.
બાળકો માટે બાળનગરી અને પ્રદર્શન
15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એક બાળનગરી તૈયાર કરવામાં આવી છે. જેમાં વિવિધ ક્વિઝ સ્પર્ધાઓ, ગેમ્સ અને એજ્યુકેશનલ ટનલ બનાવવામાં આવી છે.

નિશુલ્ક ભોજન અને સ્વયંસેવકોની સેવા
આ મહોત્સવમાં આવનાર તમામ 15 લાખ શ્રદ્ધાળુઓ માટે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજનમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તમામને એકસમાન મેનુ પીરસવામાં આવશે. હાલમાં 500 સ્વયંસેવકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે, જ્યારે મહોત્સવ દરમિયાન કુલ 5000 જેટલા સ્વયંસેવકો ખડેપગે સેવા આપશે.

અહીં આખો સભામંડપ સોલાર એનર્જીથી સંચાલિત હશે. પર્યાવરણની જાળવણી માટે અંદાજે 1.60 લાખ ફોકસટેલ પ્લાન્ટ્સ અને દોઢ લાખ સ્ક્વેર ફૂટમાં કાર્પેટ લોન લગાવવામાં આવી છે. ગીર ગાય અને પ્રાકૃતિક ખેતી અંગે લોકોને જાગૃત કરવા માટે ખાસ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે.



