ગુજરાત વન વિભાગનો ઐતિહાસિક નિર્ણય, 427 વનરક્ષકોને વનપાલ તરીકે બઢતી અપાઈ | Gujarat Forest Dept Promotion: 427 Forest Guards Promoted to Foresters

![]()
Gujarat Forest Department Promotion: ગુજરાત વન વિભાગે રાજ્યના વન અને વન્યજીવ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. વિભાગે એક જ આદેશમાં 427 વનરક્ષકો (બીટ ગાર્ડ)ને વનપાલ (ફોરેસ્ટર) તરીકે બઢતી આપી છે. આ વિભાગના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો બઢતીનો આદેશ છે, જેનાથી ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓમાં પહેલીવાર આનંદની લહેર ફરી વળી છે.
એક અઠવાડિયા પછી અરણ્ય ભવન દ્વારા બદલી કરાશે
છેલ્લા ઘણાં સમયથી વન વિભાગના કર્મચારીઓમાં વિવિધ સ્તરે નારાજગી જોવા મળી હતી. કેટલાંક મહિના પૂર્વે મોટા પાયે ગુજરાત રાજ્યના વન કર્મીઓએ ગાંધી ચીંધ્યા માર્ગે જઈને કેટલીક માંગણી પણ કરી હતી. લાંબા સમય પછી આ નિર્ણયથી વન સંરક્ષણની કામગીરીમાં વધુ બદલાવ આવશે અને પાયાના સ્તરે વહીવટી માળખું વધુ સુદ્રઢ બનશે. બદલીનો આ આદેશ આઠમી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વન અને પર્યાવરણ વિભાગના નાયબ સચિવ આસવ ગઢવી દ્વારા જારી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદની 3 જાણીતી સ્કૂલોએ ફી પરત કરવી પડશે, સમિતિએ ફી વધારો નામંજૂર કર્યો
વનરક્ષક, વર્ગ-3 (પગાર ધોરણ 18,000- 56,900 રૂપિયા પે મેટ્રિક્સ લેવલ-1)માંથી વનપાલ, વર્ગ-3 (પગાર ધોરણ 25,500-81,100, પે મેટ્રિક્સ લેવલ-1)માં બઢતી આપવામાં આવી છે. કુલ 425 કર્મચારીઓને તદ્દન હંગામી ધોરણે બઢતી મળી છે, જ્યારે 2 કર્મચારીઓને એડહોક ધોરણે બઢતી આપવામાં આવી છે.
આ બઢતીની પસંદગી યાદીમાં વિવિધ વર્ગો અને જિલ્લાઓના કર્મચારીઓનો સમાવેશ છે. જેમ કે, વડોદરા સર્કલ, સુરત સર્કલ, જૂનાગઢ વાઇલ્ડલાઇફ સર્કલ, વલસાડ સર્કલ વગેરેમાંથી કર્મચારીઓને બઢતી મળી છે. કેટલાક કર્મચારીઓ કેવડિયા જંગલ સફારી અને અન્ય ડેપ્યુટેશન પર કામ કરી રહ્યા છે. આ આદેશમાં ઉલ્લેખ છે કે બઢતી સિનિયરિટી, કોર્ટ કેસ અને ખાતાકીય તપાસને આધીન રહેશે. વધુમાં કેટલાક કર્મચારીઓને હિન્દી પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી આપવામાં આવી છે. આ નિર્ણયની વ્ચાપક અસર વન વિભાગના કર્મચારીઓમાં જોવા મળી રહી છે.



