‘કાળાબજારી કરો છો, દુકાનને તાળા મરાવી દઈશ..’ લાંચ રૂપે 50000 માગનાર AAP કાર્યકર સહિત 2ની ધરપકડ | AAP Worker and Associate Arrested for Extorting ₹50 000 from Ration Shop Owner

![]()
Extortion Case: સુરતના લિંબાયત-શાહપુરા વિસ્તારમાં સરકારી સસ્તા અનાજની દુકાન ચલાવતા વેપારીઓને ડરાવી-ધમકાવી હપ્તો માંગવાના આરોપમાં આમ આદમી પાર્ટી(AAP)ના એક કાર્યકર સહિત બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ વેપારી પર કાળાબજારનો આક્ષેપ કરી દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
લિંબાયત વિસ્તારના મહામંત્રી શ્રવણ મુળારામ જોષી અને તેના સાથી સંપત ચૌધરીએ ભેગા મળીને આ ખંડણીનું નેટવર્ક ચલાવ્યું હતું. ઘટનાની વિગતો મુજબ શ્રવણ જોષીએ ફેસબુક પર દુકાનદારનો વીડિયો અપલોડ કરી દબાણ બનાવ્યું હતું. ત્યારબાદ તેના માણસોએ દુકાને પહોંચી ધમકી આપી હતી કે, ‘તમારે દુકાન ચાલુ રાખવી છે કે કેમ?’ જો ચાલુ રાખવી હોય તો દર મહિને રૂ. 50,000નો હપ્તો આપવો પડશે. આરોપીઓએ અન્ય બે સસ્તા અનાજના દુકાનદારો પાસેથી પણ રૂ. 1 લાખ પડાવ્યા હતા અને નાણાં લેતી વખતનો વીડિયો ચોરીછૂપીથી ઉતારી લીધો હતો જેથી ભવિષ્યમાં બ્લેકમેલ કરી શકાય.
વારંવારની પજવણી અને હપ્તાની માંગણીથી કંટાળીને દુકાનદારે આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે છટકું ગોઠવીને લિંબાયત વિસ્તારના કાર્યકર શ્રવણ જોષી અને સંપત ચૌધરીની ધરપકડ કરી છે. આરોપીઓ વિરુદ્ધ લિંબાયત અને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, માત્ર લિંબાયત જ નહીં પરંતુ અન્ય આઠથી વધુ ફરિયાદો નોંધાય તેવી શક્યતા છે. આરોપીઓ વેપારીઓને લાયસન્સ રદ કરાવવાની અને બદનામ કરવાની ધમકી આપીને ગેરકાયદેસર ઉઘરાણી કરતા હતા.



