મોરબીમાં ખેલાયો ખૂની ખેલ: ભાઇએ જ કરી ભાઇની હત્યા, પ્રેમ પ્રકરણ જવાબદાર!

મોરબી: મોરબીમાં ફરી ખૂની ખેલ ખેલાયો છે. શહેરમાં રાત્રીના આશરે બાર વાગ્યાની આસપાસ લીલાપર રોડ પર આવેલા હોથીપીરની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં ઈમરાનશા ઉમરશા શાહમદાર વાળાને (ઉ.વ.૨૫) તેના જ કાકાના દીકરા સર્ફરાજ ફિરોઝશા શાહમદાર વાળાએ (રહે.મકરાણી વાસ રોહિલા પીરની દરગાહ પાસે મોરબી) અચાનક જ આવીને પેટના ભાગે છરીના ઘા ઝીંકીં દીધા હતા. જે બાદ ઇમરાન શાહમદારને 108 મારફતે ગંભીર હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં વધુ રક્ત વહી જવાના કારણે રાજકોટ રીફર કરવાની તૈયારી કરી રહ્યું હતું. તે સમય દરમ્યાન જ ઇજાગ્રસ્ત ઇમરાનનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ મોરબી સીટી એ ડીવીઝન, એલસીબી,ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ઘટનાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ મૃતક યુવાનનું પીએમ સહિતની કાર્યવાહી કરવા કવાયત હાથ ધરી છે.
પરિવારજનો પણ આઘાતમાં
પરિવારના જણાવ્યા અનુસાર, સર્ફરાજ શાહમદારની શોધખોળ હાથ ધરતા પોલીસની ટીમને આરોપી હાથવેંતમાં આવી ગયો હોવાનું આધારભુત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જોકે મૃતક ઇમરાનના પરિવારજનોએ મીડિયા સાથેની વાતચીતમાં આ હત્યા કયા કારણસર નિપજાવવામાં આવી તેનો કોઈ જ ખ્યાલ ન હોવાનું જણાવ્યું હતું. આ હત્યા સર્ફરાજ દ્વારા નિપજવવામાં આવી તેનાથી પરિવારજનો પણ સ્તબ્ધ છે. કારણ કે, બન્ને કૌટુંબિક ભાઈઓ છે. ત્યારે હત્યા પાછળનું તટસ્થ કારણ જાણવા અને ફરીયાદ નોંધવા સહિતની કામગીરી હાલ પોલીસે હાથ ધરી છે.
પ્રેમ પ્રકરણને કારણે હત્યાની આશંકા
ત્યારે આગામી સમયમાં એ ડીવીઝન પોલીસને પણ ગણતરીના કલાકોમાં જ આરોપીનું પગેરું મેળવવામાં સફળતા મળતા આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. હાલ એ ડીવીઝન પીઆઇ જે એમ આલ સહિતની ટીમે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.
થોડા સમય પહેલા પિતા પુત્રની થઇ હતી હત્યા
મોરબીમાં થોડા સમય પહેલા. પાંચ ઇસમોએ નગરપાલિકાની ચૂંટણીનાં મનદુઃખમાં પૂર્વ પાલિકા ઉપપ્રમુખ અને તેના પુત્રને તેમના ઘર પાસે જ છરી અને ધારીયાના આડેધડ ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી હતી. મોરબીના વિસીપરા વિસ્તારની મદીના સોસાયટીમાં રહેતા પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ ફારૂકભાઈ ઈબ્રાહીમભાઈ મોટલાણી અને તેમનો પુત્ર ઈમ્તિયાઝ મોટલાણી ગઈકાલે મધરાત્રે પોતાનાં ઘર પાસે હતા. ત્યારે અચાનક જ આરોપીઓ ડાડો ઉર્ફે ડાડુ ઉફે રફીક તાજમહમદ જેડા, અસગર જાક્મ ભટ્ટી, જુસબ જાક્મ ભટ્ટી, આસિફ સુમરા અને મોહીન હાસમ દાવલીયા ઉર્ફે લાલો પીંજારા ધસી આવ્યા હતા અને બોલાચાલી કરવા સાથે છરી તથા ધારિયા વડે પ્રાણઘાતક હુમલો કરીને મોતને ઘાટ ઉતારી નાસી છૂટયા હતા.