આજે રાતે 8થી 10 કલાકે દીવ પહોંચી શકે છે Tauktae વાવાઝોડુ, 150થી 165 Kmphની ઝડપે ફૂંકાશે પવન

150થી 160 Kmphની ઝડપેTauktae વાવાઝોડું 17મી મે એટલે આજ સાંજ સુધીમાં ગુજરાતમાં ત્રાટકી શકે છે. સોમવારે સવારની સ્થિતિએ આ વાવાઝોડું દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વથી 260 કિલોમીટરના અંતરે હતું. જેના પગલે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર એમ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં 150થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના સાથે દરિયો પણ ગાંડોતૂર થવાની શક્યતાઓ છે. ગુજરાત માટે એક એક મિનિટ મહત્ત્વની બની છે. ગ્રેટ ડેન્જર સિગ્નલ લાગ્યું તેનો મતલબ એવો છે કે વાવાઝોડું પાર્ટ નજીકથી પસાર થશે કે પોર્ટ પર ટકરાશે ત્યારે ખરાબ વાતાવરણનો સામનો કરવો પડશે, જેના પગલે સ્થિતિ વધારે બગડી શકે છે. ગ્રેટ ડેન્જર સિગ્નલને 10 નંબરનું સિગ્નલ પણ કહેવામાં આવે છે. આ સિગ્નલ ભાગ્યે જ લગાવવામાં આવતું હોય છે.
વાવાઝોડું રાતે 8થી 10 વાગ્યા સુધીમાં દીવ પહોંચી શકે
ગુજરાતની વધુ નજીક વાવાઝોડું પહોંચ્યું છે. જેના કારણે ગુજરાતનાં દરિયાકાંઠે ગ્રેટ ડેન્જરની આગાહી કરવામાં આવી છે. એટલે રાજ્યનાં દરિયા કિનારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યાં છે કે, વાવાઝોડું રાતે 8થી 10 વાગ્યા સુધીમાં દીવ પહોંચી શકે છે. 150થી 165 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. પોરબંદર અને મહુવા વચ્ચે ટાઉતે વાવાઝોડું ટકરાશે.
વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની આગાહી
વાવાઝોડાને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ માટે દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 17 અને18 મેના વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડુ 19 મેના ડિપ્રેશનમાં ફેરવાશે. 17 મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જયારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. તેમણે ઉમેર્યું કે, તા. 17 અને 18મી મેના રોજ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડામાં 70થી 175 કિ.મી. સુધીનો પવન રહે એવી સંભાવના છે.