પહેલીવાર અમદાવાદની રથયાત્રા બપોરે 2 કલાકે નિજ મંદિર પહોંચી જશે, જાણો તમામ આયોજન
અમદાવાદ : આપણી આસપાસ કોરોના વાયરસને કારણે ઘણું બધું બદલાઇ ગયું છે. ત્યારે આ વખતની રથયાત્રામાં પણ અનેક ફેરફારો આપણને જોવા મળશે. ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા અમદાવાદ શહેરમાં જનતા કરફ્યૂ સાથે સાદગીપૂર્ણ રીતે નીકળશે. રથયાત્રા અંગેનો આખરી નિર્ણય તમામ વિગતો સાથે બુધવારે રાજ્યના મંત્રીમંડળ બેઠકમાં ચર્ચાના અંતે જાહેર કરાશે આ માટે શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.
રથયાત્રામાં કુલ 200 લોકો જોડાશે
ભગવાન જગન્નાથની રથયાત્રામાં લોકો એકઠા ન થાય તે માટે જનતા કરફ્યૂ રાખવામાં આવ્યો છે. રથયાત્રામાં મંદિરના મહંત, ટ્રસ્ટીઓ, રથ ખેંચનારા ખલાસીઓ સહિત 200 લોકો જોડાશે. રથયાત્રામાં સામેલ થનારા તમામના નામ સહિતની માહિતી પોલીસને પહેલાથી જ આપવામાં આવશે.
7 કલાકમાં રથયાત્રા સમાપ્ત કરાશે
આ વખતે રથયાત્રા 12થી 13 કલાકના બદલે માત્ર 7 કલાકમાં આટોપી લેવાની યોજના બનાવવામાં આવી છે. ખલાસી એસો.ના જણાવ્યા મુજબ આ યાત્રા બપોરે બે વાગ્યા સુધીમાં નિજ મંદિરે પરત ફરશે. દર વર્ષે 22 કિલોમીટર લાંબી યાત્રાની સ્પીડ આશરે 7 કિલોમીટર પ્રતિકલાકની હોય છે. પરંતુ આ વખતે યાત્રામાં રથ 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધારવામાં આવશે. માત્ર 25થી 35 વર્ષના યુવાન ખલાસીઓને જ રથ ખેંચવા દેવાશે.