રાજ્યમાં ડૂબી જવાની અલગ-અલગ ઘટનાઓમાં 5ના મોત: કચ્છમાં 3 લોકો અને દાહોદમાં 2 ભાઈઓ ડૂબ્યા | Kutch Dahod Drowning Incidents Five Dead

![]()
Kutch Dahod Drowning Incidents Five Dead: કચ્છ અને દાહોદ જિલ્લામાં ત્રણ અલગ અલગ ડૂબવાની ઘટનામાં 2 બાળકો સહિત કુલ 5ના મોત નીપજ્યા છે. જેમાં દાહોદના સુખસર તાલુકાના પાટડીયા ગામના તળાવમાં ડૂબી જવાથી 2 બાળકો મોત થયાં છે. જ્યારે રાપરમાં નર્મદા કેનાલમાં અને સામખિયાળીમાં તળાવના પાણીમાં ડૂબવાથી કુલ 3ના મૃત્યુ થયા છે.
કચ્છના રાપર અને સામખિયાળીમાં ડૂબવાની બે ઘટનામાં ત્રણના મોત
કચ્છના રાપરમાં ફતેહગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બે સ્થાનિક યુવકો ડૂબ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિકો દોડી આવ્યા હતા. આ પછી સ્થાનિક પ્રશાસન અને ફાયર બિ્રગેડની ટીમને જાણ કર્યા બાદ બંને યુવકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, કેનાલના ઊંડા પાણીમાં ડૂબી જવાથી બંને યુવાનોના મોત નીપજ્યા છે. જેમાં ફાયરની ટીમે ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યા હતા.
જ્યારે સામખિયાળીના તળાવમાં ડૂબી જતાં એક અજાણ્યા શખસનું મોત થયું છે. સ્થાનિક લોકોએ મૃતકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. આમ, કચ્છમાં બે અલગ અલગ ડૂબવાની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદમાં તળાવ ડૂબી જતાં 2 બાળકોના કરૂણ મોત
દાહોદના સુખસર તાલુકાના પાટડીયા ગામના તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરૂણ મોત નીપજ્યા છે. ગામમાં રહેતા એક જ પરિવારના બે બાળકો શાળાએથી આવ્યા બાદ ગામના તળાવ ઉપર નહાવા ગયા હતા. આ દરમિયાન તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી બંનેના મોત થયા છે.
મૃતક બાળકોના નામ
– પ્રિન્સરાજ (ઉં.વ.11)
– ઋત્વિક (ઉં.વ.9)


