અમદાવાદ: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત, 1નું મોત, 3-4 લોકો ઇજાગ્રસ્ત | ahmedabad garib nagar car accident many people injured one dead

Ahmedabad Garibnagar Car Accident: અમદાવાદના ગરીબ નગર નજીક આજે સોમવારેની રાત્રે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, પ્રાથમિક માહિતી મુજબ કાર ચલાવી રહેલા ચાલકને અચાનક ખેંચ (આંચકી) આવી જતાં વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો, આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 થી 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સફેદ રંગની હેરિયર બેકાબૂ બની
કોઈ કારણોસર સફેદ રંગની હેરિયર કારે કાર ભીડ તરફ ધસી ગઈ હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકોના ટોળે વળ્યા હતા અને ઇજાગ્રસ્તોની મદદ માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ તો પોલીસે અકસ્માતનું સાચું કારણ જાણવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં સૌથી જીવલેણ અકસ્માતના 33 બ્લેકસ્પૉટ જાહેર, નરોડા પાટિયા નજીક સૌથી વધુ 14 મોત
બેફામ સ્પીડ, વાહન ચલાવતા મોબાઇલનો ઉપયોગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ જેવી બાબતોથી અમદાવાદમાં રોડ અકસ્માતના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. શહેરમાં સૌથી વધુ માર્ગ અકસ્માત થતા હોય તેવા 33 બ્લેકસ્પોટ જાહેર કરાયા છે. જેમાં નરોડા પાટિયા પાસે સૌથી વધુ 20 અકસ્માતમાં 14 વ્યક્તિના મોત થયા છે.

ડ્રાઇવિંગમાં બેદરકારી જ નહીં જોખમી વળાંક
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ઓડિટમાં સામે આવેલી વિગતો અનુસાર વર્ષ 2021થી અમદાવાદના જે સ્થળે સૌથી વધુ અકસ્માતે મોત થયા હોય તેમાં શાંતિપુરા ચાર રસ્તા, નરોડા પાટિયા, ઇસ્કોન રોડ, જુના વાડજ સર્કલનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આ હોટ સ્પોટમાં એક્સિડેન્ટ થવાની પદ્ધતિ અને કારણમાં સાતત્ય જોવા મળે છે. જેમાં મુખ્યત્વે ભારે વાહન અને રાહદારી માટે સાંકડો રસ્તો કારણભૂત હોય છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની નવી માળખાગત સુવિધા પણ અકસ્માત માટે મુખ્ય જવાબદાર પરિબળ રહે છે. રબારી કોલોની ચાર રસ્તા પાસે મેટ્રોના પિલરમાં રિફ્લેક્ટિવ શીટ મૂકવામાં આવી નથી. જેના પગલે અકસ્માત સૌથી વધુ થાય છે. નવા ઝેબ્રા ક્રોસિંગ, સ્ટોપ લાઇન્સ પાસે યોગ્ય રિફ્લેક્ટિંગ માર્કિંગ્સ મૂકવા જરૂરી થઈ ગયા છે તેવું નિષ્ણાતોનું માનવું છે. બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે અકસ્માત થવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યાં ૧૪ ગંભીર અકસ્માત નોંધાયા છે.



