છોટા ઉદેપુર: નસવાડીમાં પીવાના શુદ્ધ પાણીના અભાવે સ્થાનિકો પરેશાન, કરોડોની યોજના છતાં શાળાના બાળકો તરસ્યા! | chhota udepur water crisis naswadi villagers school children face shortage

![]()
Chhota Udepur Water Crisis: છોટા ઉદેપુર જિલ્લાના 72 જેટલા ગામોને ફિલ્ટર વાળું શુદ્ધ પાણી મળે તે માટે સરકારે 72 કરોડના ખર્ચ યોજના બનાવી હતી. આ યોજના પાછળ 60 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છતાંય હજુ સુધી પીવાનું શુદ્ધ પાણી હજુ સુધી અનેક ગામડા પહોંચ્યું ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આમ, નસવાડી તાલુકાના નારધા ગામે કુપ્પા પાણી પુરવઠા યોજનાનું પાણી ન પહોંચતા પ્રાથમિક શાળાના બાળકોને પાણી માટે હાલાકી પડી રહી છે.
પ્રાથમિક શાળાના બાળકોને પીવાના પાણી માટે હાલાકી
નસવાડીના નારધા ગામે પ્રાથમિક શાળામાં પીવાનું પાણી મળી રહે તે માટે કુપ્પા પાણી પુરવઠા યોજનાની ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી તેમાં પાણી પહોંચ્યું નથી. જ્યારે ગ્રામપંચાયતના વોટર વોક્સના બોર ઉનાળામાં ડચકા ખાઈને ચાલે છે, જેના કારણે પાણી પૂરું થતું નથી. તેમજ અનેક હેન્ડ પંપ બગડેલી હાલતમાં હોવાથી સ્થાનિકોને પાણી માટે. વલખાં મારવા પડી રહ્યા છે.
પીવાના શુદ્ધ પાણીના અભાવે સ્થાનિકો પરેશાન
સ્થાનિકોનું કહેવું છે કે, સરકારે પાણી પુરવઠા વિભાગને કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાણી પહોંચાડવા માટે આપી છે. પરંતુ બોડેલી ખાતે બેસતા પાણી પુરવઠાના અધિકારીઓ નસવાડી તાલુકાના ગામડાની મુલાકાત લેતા નથી અને સબ સલામતનો રીપોર્ટ સરકારમાં મોકલી આપે છે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, નર્મદાનુ શુદ્ધ પાણી ગામડાને મળે તે માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પણ અધિકારીઓ ધ્યાન ન આપતા પ્રજા ભોગ બની રહી છે. આમ, સરકારના વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.


