જામજોધપુરના માંડાસણ ગામે દુર્ઘટના સર્જાઈ : છત પરથી નીચે પટકાઈ પડતાં બુજુર્ગનું કરુણ મૃત્યુ | Tragic Accident In Jamjodhpur: Elderly Man Dies After Falling From Terrace In Mandasan Village

![]()
Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામે એક દુઃખદ અકસ્માતમાં એક બુઝુર્ગનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, માંડાસણ ગામે રહેતા સામતભાઈ કારાભાઈ મકવાણા (ઉ.વ. 70) એ બે દિવસ અગાઉ આંખનું ઓપરેશન કરાવ્યું હતું. તા.17 જૂન, 2026ની મધરાત્રી દરમિયાન તેઓ પોતાના રહેણાંક મકાનની છત પર સુતા હતા. રાત્રે બાથરૂમ જવા માટે ઊભા થતાં ઓપરેશનના કારણે બરાબર દેખાતું ન હોવાથી તેમનો પગ લપસ્યો હતો અને તેઓ છત પરથી નીચે પટકાયા હતા.
અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર વ્રજલાલભાઈ સામતભાઈ મકવાણાની જાણના આધારે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે કલમ 194 હેઠળ નોંધ કરી છે.



